થાણે અને પાલઘરમાં ગાંડાતૂર વરસાદને કારણે હાહાકાર

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
થાણે અને પાલઘરમાં ગાંડાતૂર વરસાદને કારણે હાહાકાર 1 - image


તાનસા ડેમ પાસેના ગામડાઓમાં હાઇ એલર્ટ

સેંકડો લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા : વૃદ્ધાશ્રમમાં પાણી ફરી વળતા વયોવૃદ્ધોને ઉપરના માળે લઈ જવાયા

મુંબઇ :  છેલ્લા એક અઠવાડિયાથી થાણે અને પાલઘર જિલ્લાને ધમરોળતા વરસાદે આજે માજા મૂકતા જનજીવન ખોરવાઈ ગયું હતું. જિલ્લાની નદીઓ બેકાંઠે વહેવા માંડી છે અને મુંબઈ-અમદાવાદ, મુંબઈ-નાસિક અને મુંબઈ-પુણેના હાઇવે અને એક્સપ્રેસ-વેના વાહનવ્યવહાર પર પણ વરસાદે માઠી અસર કરી છે. નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અંબરનાથ પાસે બદલાપુર બેરાજ, જાંબુળ ડેમ, મોહન ડેમ અને કલ્યાણની  ઉલ્હાસ નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારમાંથી સેંકડો લોકોને સલામત જગ્યાએ લઈ જવામાં આવ્યાં છે. તાનસા પર ગઈ કાલથી છલકાવા માંડતા તાનસા પર ગઈ કાલથી છલકાવા માંડતા તાનસા ડેમની સપાટી આસપાસના ગામડાઓમાં હાઈ-એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

અંબરનાથના સહવાસ વૃદ્ધાશ્રમમાં પાણી ફરી વળતા ૧૮ વયોવૃદ્ધોને તત્કાળ ઉપરના માળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. કલ્યાણમાં નદી પાસે રહેતા ૧૫૬ જણને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

કલ્યાણ-મુરબાડ રોડ અને મુરબાડ-શાહપુર રોડ ઉપર પાણી ફરી વળવાથી કેટલાય પુલ ડૂબી ગયા હોવાથી વાહન-વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

થાણે અને પાલઘરમાં એનડીઆરએફની ટીમે સજ્જ રાખવામાં આવી છે. રબ્બરની હોડીઓ સાથે એનડીઆરએફના જવાનો બચાવકાર્ય કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લામાં કેટલાય બસરૃટ બંધ કરવામાં આવ્યા

-  થાણે-પાલઘર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને લીધે મહારાષ્ટ્ર એસટીએ લગભગ એક ડઝન રૃટ ઉપર એસટી બસો દોડાવવાનું બંધ કર્યું હતું.

-  કિશોરે, પાલી, બદલાપુર, એરંજાડ, ચિકલા, શિવઢોલી અને મ્હાસાના અનેક પુલો પાણીમાં ડૂબી ગયા છે.

-  સરકારે આવતા ચોવીસ કલાક તમામ એજન્સીઓને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે.

-  ઉલ્હાસ નદી, રાયગઢની અંબા નદી, કુંડલિકા નદી અને પાતાળગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે.

રાયગઢના મહાડમાં પુલ તણાઈ ગયો

રાયગઢમાં મુશળધાર વરસાદને કારણે મહાડના એમઆઇડીસી એરિયામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પરિણામે કેટલાક ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.



Google NewsGoogle News