મહારાષ્ટ્રના 15 બાગી ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y+ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી
- ગુવાહાટીમાં ક્યાં સુધી સંતાઈ રહેશો, ચોપાટીમાં આવવું જ પડશે: બળવાખોરોને સંજય રાઉતની ધમકી
મુંબઈ, તા. 26 જૂન 2022, રવિવાર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતના સુરમાં પલટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકનાથ શિંદે સામે નિવેદનો આપવામાં આવતા હતા પરંતુ હવે સંજય રાઉત દ્વારા બળવાખોરોને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
સંજય રાઉતે આજ રોજ કહ્યું હતું કે, ગુવાહાટીમાં ક્યાં સુધી સંતાઈ રહેશો. ચોપાટીમાં આવવું જ પડશે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે શિવસેનાના 15 બાગી ધારાસભ્યોને વાય પ્લસ (Y+) કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરી છે.
મોદી સરકારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાની જાહેરાત કરી છે. ધારાસભ્યોની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકીય ખળભળાટ વચ્ચે ઉદ્ધવ અને શિંદે જૂથ પોતપોતાની રીતે તૈયારીઓમાં લાગ્યા છે.
એકનાથ શિંદેને શિવસેના ધારાસભ્ય દળના નેતાના પદેથી દૂર કરવાના મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય પર કાયદાકીય સલાહ લીધા બાદ એકનાથ શિંદેનું જૂથ કોર્ટના બારણે ટકોરા મારશે. શિંદે જૂથના કહેવા પ્રમાણે ડેપ્યુટી સ્પીકરની નોટિસનો જવાબ આપવા માટે બળવાખોર ધારાસભ્યોને ઓછામાં ઓછા 7 દિવસનો સમય આપવો જોઈતો હતો.
ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને અયોગ્યતા નોટિસ પાઠવી છે. આ ધારાસભ્યોએ સોમવાર, 27 જૂન સુધીમાં પોતાનો જવાબ આપવાનો રહેશે.
વધુ વાંચોઃ મહારાષ્ટ્ર સંકટ વચ્ચે વડોદરામાં ફડણવીસ-શિંદેની બેઠક, અમિત શાહની હાજરીની ચર્ચા