નવી મુંબઈમાં ગાયબ થયેલી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
નવી મુંબઈમાં ગાયબ થયેલી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી 1 - image


એક તરફી પ્રેમમાં હત્યાની શંકા

શરીર પર ઈજાના અનેક નિશાનઃ પોલીસની સાત ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી

મુંબઇ: નવી મુંબઈમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલી ૨૨ વર્ષીય યશશ્રી શિંદેની હત્યા કરાયેલી લાશ મળી હતી. તેના પેટ, પીઠ અને શરીરના જુદા જુદા અવયવ પર ઈજાના અનેક નિશાન હતા. એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ દાઉદ નામના યુવકે પુત્રીની હત્યા કરી હોવાની મૃતકના પિતાને શંકા હોવાનું કહેવાય છે. નવી મુંબઈના સીબીડી બેલાપુરમાં આવેલી કંપનીમાં યશશ્રી શિંદે નોકરી કરતી હતી. તે ગુરુવારે સવારે ઘરેથી કામ પર ગઈ હતી. પરંતુ ઘરે પાછી આવી નહોતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ યશશ્રીનો પત્તો લાગ્યો નહોતો. છેવટે ઉરણ પોલીસ સ્ટેશનમાં તેના ગુન થવાની ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ ઉરણ રેલવે સ્ટેશન નજીક ઝાડીઓમાં શનિવારે યશશ્રીની હત્યા કરાયેલી લાશ મળી હતી. તેના શરીર પર ચાકૂના અનેક વાર કરવામાં આવ્યા હતા. પોલીસે બનાવની જાણ થયા બાદ લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. મૃતકના મેડીકલ રિપોર્ટ બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો કે કેમ તે જાણી શકાશે.

પોલીસને તપાસમાં માલૂમ પડયું હતું કે ઘરેથી ઓફિસમાં ગયેલી યશશ્રીએ અડધા દિવસ સુધી જ કામ કર્યું હતું. તેની ગુરુવારે ૩.૩૦થી ૪.૦૦ વાગ્યા દરમિયાન હત્યા થઈ હોવાની શંકા છે. પોલીસની સાત ટીમ સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

હત્યામાં દાઉદ નામનો યુવક સંડોવાયેલો હોવાની શંકા છે. પોલીસે દરેક બાબતને ધ્યાનમાં રાખી વધુ તપાસ આદરી છે.


Google NewsGoogle News