નવરાત્રિમાં અંધેરી-દહિંસર મેટ્રો રાતના 12 સુધી દોડાવો
પશ્ચિમી પરાંઓમાં નવરાત્રિની મહત્તમ ધૂમ
મધરાતે ગરબા રમીને પાછા ફરતા ખેલૈયાઓ માટે નિર્ણય લેવા અપીલ
મુંબઈ : રવિવારથી શરૃ થતા નવરાત્રિ ઉત્સવ દરમ્યાન અંધેરી- દહીંસર વચ્ચેની ૨-એ અને ૭ આ બંને મેટ્રો- રેલની સર્વિસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવાની અપીલ રાજ્ય સરકારને કરવામાં આવી છે.
કાંદિવલીના ધારાસભ્યએ આ રજૂઆત કરતાં જણાવ્યું છે કે નવરાત્રિમાં રાસ- ગરબા રમવા માટે ખેલૈયાઓ દૂર દૂરના પરાંમાં જાય છે. આ બધાની સગવડ માટે મેટ્રો- રેલની સર્વિસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે તો ઘણો લાભ થાય.
આ વખતે રાસ- ગરબાના વ્યાવસાયિક આયોજનો મુખ્યત્વે અંધેરી અને બોરીવલીના પટ્ટામાં જ થયા છે. દાંડિયા- રાસ પૂરા થયા પછી ઘરે જવા માટે ધસારો થાય ત્યારે ઘણીવાર રિક્ષાઓ મળતી નથી. બીજું મોકાનો લાભ ઊઠાવીને ઘણી વખત રિક્ષાવાળા વધુ ભાડું પડાવતા હોય છે. આને બદલે મેટ્રો- રેલમાં સસ્તા ભાડામાં સલામત પ્રવાસ થઈ શકે છે.