સંજય રાઉત સામે કાર્યવાહી કરો: બીજેપી MLA નિતેશ રાણેએ મહારાષ્ટ્ર વિધાનસભા સેક્રેટરીને લખ્યો પત્ર
Image Source: Twitter
- રાઉતે આરોપ લગાવ્યો હતો કે, વિધાનસભા અધ્યક્ષ એક પક્ષીય કાર્યવાહી કરી રહ્યા છે
મુંબઈ, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા સંજય રાઉત અને અંબાદાસ દાનવેની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરૂદ્ધ આપવામાં આવેલા તેમના નિવેદન બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
બીજેપી MLA નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, સંજય રાઉત અને અંબાસ વિધાનસભા અધ્યક્ષ પર દબાણ બનાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા છે. તેમના નિવેદન રાજકારણથી પ્રેરિત છે. આવી સ્થિતિમાં જ્યારે રાજ્યમાં ધારાસભ્યોની અયોગ્યતા ચાલી રહેલી સુનાવણી પેન્ડિંગ છે ત્યારે તેમના નિવેદન કાર્યવાહીને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે.
સંજય રાઉતે શું કહ્યું
મહારાષ્ટ્રમાં બીજેપી અને એકનાથ શિંદેના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર અંગે સંજય રાઉતે કહ્યું કે, બંધારણ, કાયદો અને ધારાસભાને અપ્રમાણિક રીતે વિલંબિત કરવામાં આવી રહી છે. બંધારણીય પદ પર બેસીને ગેરકાયદેસર રીતે રચાયેલી સરકાર ચલાવી રહ્યા છે. સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે - જો વિધાનસભા અધ્યક્ષ તાનાશાહી કરી રહ્યા છે તો તે તાનાશાહી નહીં ચાલશે. અમે જે કર્યું તે યોગ્ય છે.
રાઉતે આરોપ લગાવ્યો હતો કે, વિધાનસભા અધ્યક્ષ એક પક્ષીય કાર્યવાહી કરી રહ્યા છે.
અંબાદાસ દાનવેએ શું કહ્યું
અંબાદાસ દાનવે વિધાન પરિષદમાં વિપક્ષી નેતા છે. તેમણે પણ રાઉતના જેમ જ નિવેદન આપ્યુ હતું. દાનવેએ કહ્યું હતું કે, વિલંબિત ન્યાય પણ અન્યાય છે અને તે અન્યાય વિધાનસભા અધ્યક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ-શિવસેના ગઠબંધન દ્વારા સરકારની રચના કર્યા બાદ ઉદ્ધવ જૂથના ધારાસભ્યોએ સરકારમાં સામેલ ધારાસભ્યો પર પક્ષપલટાના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ પણ ઉદ્ધવ જૂથના ધારાસભ્યો પર સમાન આરોપો લગાવ્યા હતા. આ મામલો હાલમાં વિધાનસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે.