પુણેથી દિલ્હી જતા વિમાનનું બોમ્બની ધમકીને લીધે મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ
એક પ્રવાસીએ પ્લેનમાં બોમ્બ હોવાની અફવા પ્રસરાવી
મુંબઇ : પુણેથી દિલ્હી જઇ રહેલા વિમાનમાં બોમ્બ હોવાની માહિતીના લીધે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં તપાસણી કરતા બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નથી. બીજી તરફ માનસિક રીતે અસ્થિર એક પ્રવાસીએ બોમ્બની અફવા ફેલાવી હોવાનું કહેવાય છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પુમેથી વિમાન ઉપડયા બાદ પ્રવાસીપલ્લવ અજય ત્યાગીએ બૂમો પાડવાનું શરૃ કર્યું હતું. તેણે ફ્લાઇટમાં બોમ્બ હોવાનું જણાવતા અન્ય પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકાસા એર ફ્લાઇટ ક્યુપી ૧૧૪૮ શનિવારે રાતે ૧૨.૦૭ કલાકે પુણેથી દિલ્હી જઇ રહી હતી. વિમાનમાં ૧૮૫ પ્રવાસી અને છ ક્રૂ મેમ્બર હતા. વિમાને ઉડાણ ભર્યા બાદ તરત જ બોમ્બની ચેતવણી મળી હતી. આથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી વિમાનની મુંબઇ તરફ વાળવામાં આવ્યું હતું. મુંબઇમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાતે ૧૨.૪૨ વાગ્યે વિમાને સુરક્ષિત ઉતરાણ કર્યું હતું.
સુરક્ષા કર્મચારીઓએ વિમાનની સંપૂર્ણ તપાસ કરી હતી. પરંતુ બોમ્બ કે અન્ય વિસ્ફોટક મળ્યા નહોતા. બોમ્બની માહિતી આપનારા ઉત્તર પ્રદેશના પ્રવાસી ત્યાગીનીમાનસિક સ્થિતિ સારી ન હોવાનું તપાસમાં માલૂમ પડયું હતું. એરલાઇન્સના એક પ્રતિનિધિએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્યાગી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. તેની સામે કલમ ૫૦૬-ટુ, ૫૦૫-૧ (બી) હેઠળ કેસ દાખલ કરાયો હતો.