બદલાપુરમાં ચાવીના આકારનો કૂવો પર્યટકોનું આકર્ષણ છે
- કૂવાની વિશેષતા એ છે કે દુકાળમાં પણ પાણી ખલાસ થતું નથી
મુંબઈ
મુંબઈની આસપાસના વિસ્તારોમાં સેંકડો ઐતિહાસિક સ્થળો છે બદલાપુર શેહરમાં ઈતિહાસનો સમૃદ્ધ વારસો છે. ત્યાં પ્રાચીન સમયના ઘણા નમૂનાઓ જોવા મળે છે. દેવકોળી ગામમાં ચાવીના આકારનો પ્રાચીન કૂવો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામના લોકોનું કહેવું છે કે આ કુવો છત્રપતિ શિવાજી મહારાજના સમયનો છે.
બદલાપુર પશ્ચિમ શહેરી ભાગથી અંદાજે ૬ કિ.મી. અંતરે દેવકોળી ગામ છે. લગભગ ૬૦ ઘરો ધરાવતું આ ગામ પ્રાચીન શિલ્પોથી સમૃદ્ધ છે. આ સ્થળની વિશેષતા એ છે કે ત્યાં ચાવીના આકારનો કાળા પથ્થરનો કૂવો છે. આ કૂવો ૧૬મી સદીમાં બાંધ્યો હોવાનું માનવામાં આવે છે. આ કૂવો ૭૦થી ૭૨ ફૂટ ઊંડો છે. જેના મધ્યમાં ગણપતિનું શિલ્પ કોતરેલું છે. બાજુની દિવાલો પર હાથીના શિલ્પો કોતરેલા છે આ કૂવાની ખાસિયત એ છે કે દુકાળના સમયે પણ તેમાનું પાણી ખલાસ થતું નથી. ગામમાં નળ યોજના શરૂ થયા પહેલાં ગ્રામજનો માટે પાણીનો સ્ત્રોત આ કૂવો જ હતો. ગમે તેટલી ગરમીમાં પણ આ કૂવાનું પાણી ઠંડું રહે છે.
શિવાજીના સમયમાં કોંકણ અને ઘાટ પર જ્વા માટે બદલાપુર મધ્યવર્તી હતું. તે સમયે ઘોડસવારો ઘોડા બદલવા માટે આ ઠેકાણે આવતા અને વિશ્રામ કરતા હતા. તે સમયમાં આ કૂવો બંધાયો હોવાુનં કહેવાય છે. આ વારસાનું જતન કરવા બાબતે પ્રશાસન ઉદાસીન છે તેવું ગ્રામજનોનું કહેવું છે. આ સ્થાને ઘણા પર્યટકો મુલાકાતે આવે છે. તેટલું જ નહીં દેવકોળી ગામમાં ઘણા ઘરો આઝાદીના સમય પહેલાંના છે. તેમની પણ ખરાબ અવસ્થા થઈ છે.