11 વર્ષની સગીર દીકરી પર બળાત્કારના આરોપી બાપે ટ્રેન સામે ઝંપલાવી દીધું

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
11 વર્ષની સગીર દીકરી પર બળાત્કારના આરોપી બાપે ટ્રેન સામે ઝંપલાવી દીધું 1 - image


- યુએઈથી આવેલી માતાએ ફરિયાદ નોંધાવ્યાના એક કલાકમાં જ આપઘાત 

- બદલાપુરમાં રહેતા 40 વર્ષીય રીક્ષા ડ્રાઈવર બાપ દ્વારા જાતીય સતામણીની જાણ દીકરીએ નાનીને કરતાં માતાએ દુબઈથી દોડી આવીને ફરિયાદ નોંધાવી હતી 

મુંબઈ : બદલાપુરમાં ૪૦ વર્ષીય રીક્ષા ડ્રાઈવર પર તેની ૧૧ વર્ષની દીકરી પર છેલ્લા છ માસ દરમિયાન વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ આ રીક્ષા ડ્રાઈવરની પત્નીએ જ નોંધાવ્યાના એક જ કલાકમાં રીક્ષા ડ્રાઈવરે કરજત નજીક ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. 

 પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૪૦ વર્ષીય રીક્ષા ડ્રાઈવરની પત્ની દુબઈમાં નોકરી કરતી હતી. બે વર્ષ પહેલાં પત્ની દુબઈ ગઈ ત્યારે સંતાનોને પતિના ભરોસે છોડી ગઈ હતી.  ધો. આઠમાં ભણતી ૧૧ વર્ષની દીકરી તથા આઠ વર્ષનો દીકરો બાપ સાથે જ રહેતાં હતાં. 

દરમિયાન થોડા સમય પહેલાં આ રીક્ષા ડ્રાઈવરની ૧૧ વર્ષની બાળકી તેની નાનીને મળવા ગઈ ત્યારે તેના વર્તનમાં ફેરફાર જણાયો હતો. આ બાળકી ગૂમસૂમ રહેતી હતી. નાનીએ તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં બાળકીએ ઘટસ્ફોટ કર્યો હતો કે છેલ્લા છ મહિનાથી સગો બાપ જ તેને હવસનો શિકાર બનાવી રહ્યો છે. 

નાનીએ આ વાત સાંભળ્યા બાદ તરત જ દુબઈ રહેતી તેની દીકરીને જાણ કરી હતી. પતિની આ કરતૂત વિશે સાંભળ્યા બાદ પત્ની તરત જ દુબઈથી બદલાપુર પાછી આવી હતી અને તેણે બાળકી પાસેથી સઘળીવિગતો મેળવ્યા બાદ પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. 

પોલીસે રીક્ષા ડ્રાઈવર વિરુદ્ધ આઈપીસી તથા પોક્સો એક્ટની સંબંધિત કલમો અનુસાર ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. 

પોલીસે તરત જ આરોપીની ભાળ મેળવવા પ્રયાસો શરુ કર્યા હતા. 

આ દરમિયાન પોલીસને જાણ થઈ હતી કે આરોપીએ ફરિયાદ નોંધાઈ કે તરત જ ટ્રેન હેઠળ પડતું મૂકી ઝંપલાવી દીધું છે. રેલવે ટ્રેક પરથી તેનો મૃતદેહ મળી આવ્યા બાદ રેલવે પોલીસે અપમૃત્યુનો ગુનો  દાખલ કર્યો હતો. રેલવે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રીક્ષા ડ્રાઈવરે બદલાપુર અને  વાગણી  રેલવે સ્ટેશનો વચ્ચે ટ્રેક પર ઝંપલાવી આપઘાત કરી લીધી હતો. પોસ્ટ મોર્ટમ બાદ તેનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. 

રીક્ષા ડ્રાઈવરની પત્નીના જણાવ્યા અનુસાર તેનો પતિ સરખું કમાતો ન હતો. આથી, તેણે દુબઈમાં નોકરીની તક મળી તે સ્વીકારી લીધી હતી. તેને એમ હતું કે પોતે થોડા સમય દુબઈ રહીને પૈસા ભેગા કરશે. બાળકોને તે બાપના ભરોસે છોડી ગઈ હતી અને તેને સપને પણ ખ્યાલ ન હતો કે પતિ આવું કૃત્ય કરશે. 


Google NewsGoogle News