નવી મુંબઈમાં ઓફિસમાં બિલ્ડરની લાશ મળતા ચકચાર
ઘટનાસ્થળેથી રિવોલ્વર ન મળી
ગોળી મારીને હત્યા કરી હોવાની શંકા
મુંબઈ: નવી મુંબઈના સીવૂડમાં ઓફિસમાં બિલ્ડર મનોજસિંહ (ઉં.વ.૪૫)ની લાશ મળી હતી. તેમના માથા પર ગોળી વાગી હતી. શરૂઆતમાં મનોજસિંહે આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ બિલ્ડરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ આદરી છે. નવી મુંબઈના સીવૂડ સેકટર નં. ૪૪માં બિલ્ડર મનોજ સિંહની ઓફિસ ધરાવતા હતા. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે કર્મચારી ઓફિસમાં આવ્યા હતા. ત્યારે મનોજસિંહની લાશ લોહીલુહાણ હાલતમાં મળી હતી.
આ મામલાની એનઆરઆઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બિલ્ડરે પોતાના માથામાં ગોળી મારીને જીવન ટૂંકાવી લીધું હોવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ લાશ પાસે પિસ્તોલ મળી નહોતી. આમ આ હત્યાનો કેસ હોવાનું કહેવાય છે.
પોલીસ ઓફિસ અને આસપાસની પરિસરના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. ગઈકાલે રાતે મનોજસિંહે પત્નીને ફોન કર્યો હતો. ઓફિસમાં એક મિટીંગ હોવાથી રાતે ઘરે આવશે નહીં એમ જણાવ્યું હતું. આમ મનોજસિંહને ઓફિસમાં મળવા કોણ આવ્યું હતું. એની માહિતી પોલીસ મેળવી રહી છે.
અગાઉના કોઈ વિવાદના લીધે આરોપીઓએ મનોજસિંહની હત્યા કરી છે કે કેમ એની તપાસ પણ ચાલી રહી છે.