વરલીમાં 100 વર્ષની પરંપરા, મુસ્લિમો જ ગણેશજીનો રથ હાંકી લાવે છે
100 વર્ષ પહેલાં પાલખી હતી, હવે રથયાત્રા નીકળે છે
ગણેશોત્સવની ઉજવણીમાં ધર્મના ભેદ ભુલાયા
મુંબઇ : ધર્મના નામે ઠેર ઠેર યુદ્ધો થતા રહે છે. પરંતુ વરલી નાકાના એક ગણેશ મંડળનું દ્રશ્ય જુદું છે. અહીંયા ધર્મના ભેદ ભૂલી મુસ્લિમ સમુદાયના લોકો હરખભેર ગણેશોત્સવની ઉજવણીીમાં સહભાગી થાય છે.
આચાર્ય અત્રે ચોક નજીક ગણેશ સેવા સાર્વજનિક મંડળમાં વર્ષોથી પરંપરા ચાલતી આવે છે કે મંડપમાં ગણેશજીની મૂર્તિનું આગમન રથમાં થાય અને આ રથ મુસ્લિમ બંધુઓ હાંકીને બાપાને લાવે છે. આ વર્ષે પણ પરંપરા જળવાઈ રહી છે.
આ મંડળને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. અને લગભગ ત્યારથી જ ગણપતિનો રથ મુસ્લિમભાઇઓ હાંકીને લાવે છે. વરલીમાં ૧૦૦ વર્ષ પહેલાં ગીચ વસતી હતી. વ્યાવસાયિક કેન્દ્ર તરીકે આ વિસ્તારની ઓળખ હતી. બધા જ ધર્મના લોકો વસતા હોવાથી તેમાંના હંમેશા એક્તા જળવાઇ રહે તે માટે સર્વેજનોએ મળીને વિવિધ કાર્યક્રમો કરવાનું શરૃ કર્યું તેના જ એક ભાગરૃપે વ્યાપારીઓએ વર્ષ ૧૯૨૨માં ગણેશ સેવા મંડળની સ્થાપના કરી હતી.
શરૃમાં ગણપતિને પાલખીમાં બેસાડીને લાવવામાં આવતા હતા ત્યારે આ પાલખી ઉપાડવાનું માન પણ મુસ્લિમ બંધુઓને મળતું હતું. આજની તારીખમાં બાપાને રથમાં લાવવામાં આવે છે.
વરલીમાં એક બ્રિટિશકાલીન મસ્જિદ પણ છે. જેમાં હિંદુ ભાઇઓની પણ અવર-જવર હોય છે. હિંદુ- મુસ્લિમો એકબાજાના તહેવારોમાં સામેલ થાય છે. મુંબઇમાં જ્યારે વર્ષ ૧૯૯૨-૯૩માં રણખાણો ફાટી નીકળ્યા હતા તે વખતે વરલી વિસ્તારના મુસ્લિમોને હિંદુઓએ સંરક્ષણ આપી મદદ કરી હતી. તેવું મસ્દિદના અધ્યક્ષે જણાવ્યું હતું.