સ્ટેમ્પ ડયુટી 3 ટકા થયા બાદ પણ મુંબઈમાં જાન્યુઆરીમાં 9000 ઘર વેચાયા
એકલા મુંબઈએ સરકારી તિજોરીમાં રૂ. 263.33 કરોડ ઠાલવ્યા
ડિસેંબરમાં ફ્લેટોનું રેકોર્ડબ્રેક વેચાણ થયું હતું
મુંબઈ,તા.28 જાન્યુઆરી, 2021, ગુરુવાર
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કર્યો ત્યારથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફરીથી ચેતનાનો સંચાર થયો છે. પહેલા સ્ટેમ્પ ડયુટી ૫ ટકા પરથી ઘટાડી ડિસેંબર, ૨૦૨૦ સુધી ૨ ટકા કરાઈ હતી. જ્યારે જાન્યુઆરીથી ૩ ટકાના દરે સ્ટેમ્પ ડયુટી લેવાય છે. એને પગલે, મુંબઈમાં જાન્યુઆરી મહીના દરમ્યાન અત્યારસુધી ૯૦૦૦ ઘર વેચાયા હોવાનું રાજ્યના મહેસુલ ખાતાએ જણાવ્યું હતું. શહેરમાં ફ્લેટસના વેચાણમાં આવેલા ઉછાળાને લીધે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટીરૃપે રૃા.૨૬૩.૩૩ કરોડની આવક થઈ છે.
દીપક પારેખના પ્રમુખપદ હેટળ એમવીએ સરકારે એક કમિટી નીમી હતી, જેણે રિયલ એસ્ટેટને બેઠુ કરવા સરકારને કેટલીક ભલામણો કરી હતી. એમાં સ્ટેમ્પ ડયુટી ઘટાડવાનું સૂચન મુખ્ય હતું. સ્ટેમ્પ ડયુટી ઘટાડાયા બાદ મુંબઈમાં ૧૩,૦૦૦ રહેઠાણોનું વેચાણ થયું છે. અને સરકારની તિજોરીમાં રૃા.૧૦૧૪.૧૭ કરોડ ઠલવાયા છે.
મુંબઈમાં ડિસેમ્બર, ૨૦૨૦માં ફ્લેટ્સનું રેકોર્ડ વેચાણ થયું હતું. એ મહીનામાં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં લગભગ ૧૮૦૦૦ દસ્તાવેજો નોંધણી માટે આવ્યા હતા. એને લીધે સરકારને સ્ટેમ્પ ડયુટી મારફત રૃા.૬૪૮.૩૨ કરોડનું મહેસુલ મળ્યું હતું.
સ્ટેમ્પ ડયુટી ઘટાડવા ઉપરાંત એમવીએ સરકારે ડેવલપરો અને બિલ્ડરોને રાહત આપતા નિર્ણયો પણ લીધા છે. લોકોને પરવડે એવા મકાનો (અફોર્ડેબલ હાઉસિસ) પુરા પાડવાના ઉદ્દેશથી બિલ્ડરોને અમુક છુટછાટ અપાઈ છે. આવા જ એક મોટા પગલામાં, સરકારે ઘર ખરીદનારાઓ વતી સ્ટેમ્પ ડયુટી ભરનાર ડેવલપરોને વિવિધ પ્રિમીયમ્સમાં ૫૦ ટકા રાહત આપી છે. પ્રિમીયમ્સમાં ઘટાડાનો લાભ આમ આદમીને મળે એ માટે સરકારે બિલ્ડરો સમક્ષ ખરીદદારોને સ્ટેમ્પ ડયુટી ભરવામાંથી મુક્તિ આપવાની શરત મૂકી છે.
ે