અમિતાભના 81મા જન્મદિને 8100 વૃક્ષોનું વાવેતર કરાશે
મેગા સ્ટારના જન્મદિનની અનોખી ઉજવણી
નાગપુર પાસે રામટેકમાં ટ્રીઝ ફોર ટાઈગર સાથે અમિતાભ બચ્ચન ગ્રોવને એકીકૃત કરાશે
મુંબઈ : અમિતાભ બચ્ચનના ૮૧મા જન્મદિને 'અમિતાભ બચ્ચન ગ્રોવ'ના નામે ૮૧૦૦ વૃક્ષ તેમને સમર્પિત કરાશે. નાગપુર પાસે રામટેકમાં આ વૃક્ષોનું વાવેતર કરાશે. તેને ટ્રીઝ ફોર ટાઈગર સાથે એકીકૃત કરાશે.
અમિતાભ બચ્ચનને આ પ્રોજેક્ટની વિગતો સાથેનું એક ઈ સર્ટિફિકેટ પણ અપાશે. તેમાં લખવામાં આવ્યું છે કે તમારી હાજરીએ અમને શીખવ્યું છે કે કેવી રીતે આકાશ સુધી પહોંચતા પણ મૂળ સાથે જોડાયેલા રહેવું. તમારા નામ સાથે રાખવામાં આવેલો આ પ્રોજેક્ટ તમારા સદાબહાર વારસાની યાદ અપાવતું રહેશે.'
અમિતાભ બચ્ચનને સ્મરણાંજલિ રૃપે નાગપુર જિલ્લામાં પ્રોજેક્ટ એરિયામાં એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે અને તેમાં લખ્યું છે, 'એક ઊંચા આશ્રયદાતા વૃક્ષની જેમ તેની પણ વિશાળ હાજરી છે. આ પ્રોજેક્ટ જૈવવિવિધતાને પોષવામાં મદદ કરશે અને વાઘને પણ આશ્રય આપશે.
આ પ્રોજેક્ટ હાથ ધરનારા અને અમિતાભને આ ગિફ્ટ આપનારા તેમના ચાહક મિત્ર તથા પ્રોડયૂસર આનંદ પંડિતે જણાવ્યુ ંહતું કે જેમ વૃક્ષોની હાજરી અકલ્પ્ય છે તેવું જ અમિતાભ બચ્ચનનું અસ્તિત્વ પણ અકલ્પ્ય છે. આથી તેમના ૮૧મા જન્મદિને ૮૧૦૦ વૃક્ષો સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.