મુંબઈમાં 63 કિલો મિલાવટી માવો-મીઠાઈનો નાશ કરાયો
તહેવારોમાં મીઠું મોઢું કરતા સવાધાન
મહાપાલિકા દ્વારા 171 દુકાનો સામે કાર્યવાહીઃ કોલ્ડ સ્ટોરેજો પર પણ તપાસ
મુંબઈ ગણેશોત્સવ દરમિયાન ભેળસેળયુક્ત માવો અને મીઠાઈના વેચાણ સામે પાલિકાએ હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન મુંબઈની ૧૭૧ દુકાનો વિરુદ્ધ કારવાઈ કરવામાં આવી હતી. આ દુકાનોમાંથી પકડાયેલા નવ કિલો મિલાવટી માવા અને ૬૩ કિલો મીઠાઈના જથ્થાને નષ્ટ કરવામાં આવ્યો હતો.
મહાપાલિકાની જુદી જુદી ટુકડીઓએ શહેર અને ઉપનગરોમાં તપાસ હાથ ધરી હતી. આમાં ૧૧ દુકાનોમાં પરવાના વગર માવાનું અને ૮૯ દુકાનોમાં મીઠાઈનું વેચાણ કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. આ તમામ દુકાનોના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આવી જ બે કોલ્ડ સ્ટોરેજમાંથી મિલાવટી માવો પકડાયો હતો. મીઠાઈ બનાવતી અમુક દુકાનોમાં ગંદકી જોવા મળી હતી અને હલકી ક્વોલિટીની સામગ્રીમાંથી મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું જોવા મળ્યું હતું. આ દુકાનદારોને સ્વચ્છતા જાળવવાની તાકીદ કરવામાં આવી હતી.