મરાઠા આંદોલન સ્થગિત થયા પછી પણ 24 કલાકમાં 4 ના આપઘાત
- ગ્રામ્ય વિસ્તારોમાં આંદોલનનો અગ્નિ હજૂ ભભૂકે છે
- બીડ, નાંદેડ, સંભાજીનગરમાં આત્મહત્યાના બનાવાથો આંદોલનના કાર્યકરોમાં ભારે ઉશ્કેરાટ
મુંબઇ : મરાઠા આરક્ષણની માગણી સાથે અનશન આંદોલન ચલાવતા મનોજ જરાંગે પાટીલે ઉપવાસ પાછા ખેંચ્યા પછી પણ મહારાષ્ટ્રમાં આત્મહત્યા અને વારાફરતી ઉપવાસ આંદોલન ચાલું જ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર યુવકોએ આરક્ષણના મુદ્દે આત્મહત્યા કરી હતી.
બીડ, લાતૂર અને છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ચાર યુવાનોએ આત્મહત્યા કરતા જુદા જુદા ગામોમાં આંદોલન ચલાવી રહેલા મરાઠા કાર્યકરોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો.
જરાંગેએ મહારાષ્ટ્ર સરકારને મરાઠા આરક્ષણની મડાગાંઠ ઉકેલવા બે મહિનાની મુદત આપ્યા પછી પારણા કર્યા હતા. ત્યાર પછી પણ બીડના અમોલ રોહિદારા નાંદે અને પ્રેમરાજ કિશોર જામદાડે, નાંદેડના તુકારામ મોરે અને સંભાજીનગરના કૃષ્ણા જગતાપ નામના યુવાનોએ અંતિમ પગલું ભરતા જુદા જુદા ગામો અને ગામડાઓમાં આંદોલન ચલાવી રહેલા કાર્યકરોમાં ઉશ્કેરાટ વ્યાપ્યો છે.