ઈડર પાસે અકસ્માતમાં બોરીવલીના જરીવાલા પરિવારના 4નાં મોત

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
ઈડર પાસે અકસ્માતમાં બોરીવલીના જરીવાલા પરિવારના 4નાં મોત 1 - image


વેકેશનમાં વતન ગયા હતા ત્યાં કાળ ભેટી ગયો

 હિંમતનગરથી વતન નેત્રામલી જતો હતો ત્યારે ડમ્પરે  કારને ટક્કર મારી :  માતા-પુત્ર-પુત્રવધૂ-પૌત્રીનાં મોતઃ 4  ઘાયલ 

મુંબઈ :  ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર ભેટાલી પાસે ગુરૃવારે મધ્યરાત્રિએ ડમ્પર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાત માસની બાળકી સહિત એક જ પરિવારનાં માતા-પુત્ર-પુત્રવધુ અને પૌત્રી સહિત ચારનાં મોત નિપજ્યાં હતા. જ્યારે બે બાળકી સહિત અન્ય ચાર ઘાયલ થયા હતા. ઘાયલોને હિંમતનગરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના બાબતે જાદર પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ નેત્રામલીના પરંતુ વર્ષોથી મુંબઈ ખાતે રહેતા કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જરીવાલાનો પરિવાર હાલ ઉનાળુ વેકેશનમાં વતન નેત્રામલી ખાતે આવેલો હતો. દરમિયાન ગુરૃવારે રાત્રે આ પરિવારના ત્રણ બાળકી સહિતના ૮ સભ્યો હિંમતનગરમાં કોઈ પ્રસંગમાં હાજરી આપી પરત કારમાં નેત્રામલી તરફ જઈ રહ્યા હતા તેવામાં ભેટાલી પાસે કોલેજ આગળ રોડના ચાલતા કામ માટે મુકેલા ડાયવર્ઝન કટ પાસે સામે થી આવતા ડમ્પર ચાલકે ડમ્પરને પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવી કારને જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કરને કારણે કારમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી. જે પૈકી ગંભીર ઈજાગ્રસ્ત એક સાત માસની બાળકી સહિત ચારનાં મોત નિપજ્યા હતા. જ્યારે બે બાળકી સહિત અન્ય ચાર ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હિંમતનગર સારવાર માટે ખસેડાયા હતા. દરમિયાન અકસ્માતમાં કાર ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો. જેને આજુબાજુથી દોડી આવેલા લોકો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોએ મળી કારનો દરવાજો તોડી મૃત હાલતમાં બહાર કાઢયો હતો.

આ ઘટનાને કારણે મૃતકના પરિવારજનો સહિત નેત્રામલી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાદર પોલીસે તમામ મૃતકોને પી.એમ.માટે ખસેડી ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અકસ્માતના મૃતકો અને ઈજાગ્રસ્તોની યાદી

મૃતક

(૧) પ્રજ્ઞાાબેન કમલેશભાઈ જરીવાલા - ૫૨ (૨) સ્વપ્નિલ કમલેશભાઈ જરીવાલા - ૩૪ (૩) જીલબેન જૈનિલકુમાર જરીવાલા - ૩૧ (૪) ડેલિશા જૈનિલકુમાર જરીવાલા - ૭ માસ (તમામ રહે. બોરીવલી, મુંબઈ)

ઈજાગ્રસ્ત

(૧) કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જરીવાલા (૨) વિધીબેન સ્વપ્નિલ જરીવાલા (૩) હેઝલ જૈનિલકુમાર જરીવાલા (૪) માયેશા સ્વપ્નિલ જરીવાલા (તમામ રહે. બોરીવલી, મુંબઈ)

પરિવાર બર્થ ડે પાર્ટી ઉજવી પરત ફરતો હતો

ઉનાળુ વેકેશનને કારણે મુંબઈથી વતન નેત્રામલી ગામે આવેલો આ પરિવાર હિંમતનગર ખાતે કોઈનો જન્મ દિવસ મનાવી પરત નેત્રામલી જતો હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં વતનના ગામથી માત્ર જ કિ.મી. દૂર ભેટાલી પાસે આ પરિવારના ચાર સભ્યોને કાળનો ભેટો થઈ ગયો હતો અને ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.

એકજ પરિવારની ચાર અર્થી ઉઠતા ગામ હિબકે ચડયું 

 નેત્રામલી ગામના જરીવાલા પરિવારના ચાર મૃતકોના અગ્નિસંસ્કાર શુક્રવારના રોજ ગામમાં રાખવામાં આવ્યા હતા. ગામમાં એકજ પરિવારની એકસાથે ચાર અર્થી ઉઠતા ગામ આખું હિબકે ચડયું હતું અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, નેત્રામલી ગામમાં મૃતક પરિવારના નામે જરીવાલા હાઈસ્કૂલ આવેલી છે. આ ઘટનાથી ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારે પણ ભારે આઘાત અનુભવ્યો હતો.



Google NewsGoogle News