ચંદ્રપુરમાં ટ્રકે રિક્ષાને અડફેટમાં લેતા 4નાં મોત, 3 ગંભીર ઈજા પામ્યા
ટ્રક ડ્રાઈવર દારૃના નશામાં વાહન હંકારતો મળી આવ્યો, પોલીસે ગુનો નોંધી તાબામાં લીધો
મુંબઈ : ચંદ્રપુરમાં તેજ ગતિમાં એક ટ્રકે રિક્ષાને અડફેટમાં લેતાં ૪ જણનાં મોત થયાં હતા જ્યારે આ ઘટનામાં ૩ ગંભીર ઈજા પામ્યા હા. આ સંદર્ભે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે ઘટના સમયે ટ્રકનો ડ્રાઈવર દારૃ પીને ટ્રક ચલાવતો હોવાનું મળી આવ્યા બાદ પોલીસે તેને તાબામાં લઈ આગળની કાર્યવાહી આદરી હતી.
આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે મોડી રાત્રે ચંદ્રપુરશહેરના રામનગર વિસ્તારમાં બાબુપેેઠમાં બની હતી. આ સમયે એક ટ્રક ચંદ્રપુરથી બલ્લારશાહ તરફ જઈ રહી હતી. જ્યારે અકસ્માતગ્રસ્ત રિક્ષા સામેથી આવી રહી હતી. આ સમયે રિક્ષામાં સાત પ્રવાસીઓ સવાર હતા. આ સમયે અહીંના રેલવે બ્રિજ પર ખાડા બચાવવાના પ્રયાસમાં આ રિક્ષા સામે આવી જતા ટ્રક ડ્રાઈવરે ટ્રક પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ટ્રક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર ચાર જણના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્મતામાં ગંભીર રીતે ઘવાયેલા ૩ જણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ચૂટયો હતો. પણ રામનગર પોલીસે તેને ગુરુવારે ઝડપી લીધો હતો. આ સંદર્ભે પોલીસે રેશ ડ્રાઈવિંગ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી મોત નિપજાવવા પ્રકરણે ગુનો નોંધી વધુ તદપાસ આદરી છે.