મુંબઈ મહાનગર તથા આસપાસના શહેરોમાં 36 હજાર ફ્લેટ બંધાશે
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ટાર્ગેટ પૂર્ણ કરવા દોડધામ
9 થી 17 લાખ સુધીના મકાનો હશે, ટિટવાલામાં 2200 ફલેટ બનશે, ઘરોમાં મોડયુલર કિચન, વોટર પ્યુરિફાયર પણ અપાશે
મુંબઈ : પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન (મહાહાઉસિંગ) મુંબઈ મેટ્રોપોલિટીન રીજનમાં ટિટવાલા અને સોલાપુર, નાગપુર, સાતારામાં ૩૬૦૦૦ નાના ઘર બનાવવાની યોજના ધરાવે છે.
આ યોજના હેળ બનનારા ઘર ૩૦૦ થી ૬૦૦ સ્કે.ફૂટના હશે. જેની કિંમત અંદાજે રુપિયા ૯ લાખથી ૧૭ લાખ સુધીની હશે. આર્થિક પછાત તથા ઓછી તેમજ મધ્યમ આવક ધરાવતાં લોકો માટે આ યોજના ઉપયોગી થશે. પીએમએવાય યોજના હેઠળ ટિટવાલામાં ૨૨૦૦ ફ્લેટ્સ બાંધવાની યોજના છે અને તે માટેના ટેન્ડર જાહેર કરી દેવાયા છે. આ કુલ ઘરોમાંથી પ્રથમ તબક્કામાં ૫૦૦ ઘર સૌપ્રથમ સોલાપુરમાં લોટરી સિસ્ટમથી વેંચવામાં આવશે.
મહાહાઉસિંગના અધિકારીના જણાવ્યાનુસાર, સોલાપુરમાં જે ઘર વિતરીત કરવામાં આવશે, તેની કિંમત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની ૨.૫ લાખની સબસિડી બાદ ૯ લાખ રુપિયા હશે અને જો લાભાર્થી એ બાંધકામ મજૂર હશે તો ઘરની કિંમત હજી બે લાખ ઓછી થઈ જશે. આ ઘરોમાં મોડયુલર કિચન, વૉલ યુનિટ,વોટર પ્યોરિફાયર હશે. ૨.૫ લાખની સબસિડી ઉપરાંત આ ઘરની સ્ટેમ્પ ડયુટી પણ માત્ર એક હજાર રુપિયા હશે. તેમને ૨.૫ની એફએસઆઈ અપાશે અને તેમને અપાયેલી જમીન એ હાઉસિંગ પર્પસ (આવાસના હેતુઓ) માટેના ગ્રીન ઝોનમાં છે.
ગયા વર્ષે જૂનમાં આ પ્રોજેક્ટની પૂર્ણતાનો દર ૩૪ ટકાથી પણ ઓછો હતો. પરંતુ અત્યારે રાજ્યભરમાં કુલ લક્ષ્યાંકિત ૬.૨૭ લાખમાંના ૬૪ ટકા ઘર બંધાઈ ગયા છે.