અમદાવાદની ભારત-પાક મેચ માટે મુંબઈથી 2 સ્પેશ્યલ ટ્રેન દોડશે
પહેલીવાર કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ માટે ખાસ ટ્રેનો
1 ટ્રેન વંદેભારત હોવાની સંભાવનાઃ આજથી બૂકિંગ ઓપન થશે
મુંબઈ : અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં નિહાળવા જઈ રહેલા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાનેપહોંચી વળવા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે એક વંદેભારત સહિત બે ખાસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રેનો માટે આવતીકાલેથી બૂકિંગ ઓપન થશે.
અમદાવાદમાં તા. ૧૪મીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે.
પશ્ચિમ રેલવે તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેન નંબર ૦૯૦૧૩ મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ૧૩મી ઓક્ટોબરે મુંબઈ સેન્ટ્રલથી રાત્રે ૯.૩૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૫.૩૦ કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર ૦૯૦૧૪ અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ૧૫ ઓક્ટોબરના રોજ રોજ અમદાવાદથી પરોઢે ૪.૦૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે ૧૨.૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ટ્રેન નંબર ૦૯૦૧૩/૦૯૦૧૪ માટે બુકિંગ ૧૨મી ઓકટોબરના રોજ ખુલશે.
કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી હોય તેવું આ પહેલી વખત બની રહ્યું છે.
આ ટ્રેનના હોલ્ટસ અંગે હજુ નિર્ણય નથી લેવાયો. પરંતુ, મોટાભાગે સુરત, વડોદરા, આણંદ અને ભરુચ ખાતે તેને હોલ્ટ અપાય તેવી સંભાવના છે.