મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 12 લોકોના મોત, 23 ઈજાગ્રસ્ત
Image Source: Twitter
- ખાનગી બસમાં 35 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા
છત્રપતિ સંભાજીનગર, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ફરી એક વખત મોટો અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક તેજ રફ્તાર મિની બસ એક કન્ટેનર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ખાનગી બસમાં 35 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મુંબઈથી લગભગ 350 કિલોમીટર દૂર આવેલા જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
અકસ્માત થવાનું કારણ સામે આવ્યુ છે. જેમાં બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધુ હતું પરિણામે બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં પાંચ પુરૂષો, છ મહિલાઓ અને એક સગીર છોકરી સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે અન્ય 23 લોકો ઘાયલ થયા છે અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.