પ્રગતીશીલ મહારાષ્ટ્રમાં 11 મહિનામાં 1000 ખેડૂતોની આત્મહત્યા
અન્નદાતાની જ અરેરાટી પૂર્ણ અવદશા
મરાઠવાડામાં રોજ સરેરાશ 3 કિસાનો જીવન ટુંકાવે છે
મુંબઇ :પ્રગતીશીલ રાજ્ય ગણાતા મહારાષ્ટ્રમાં છેલ્લા ૧૧ મહિના દરમિયાન એક હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આમાં સૌથી વધુ ૨૫૩ આત્મહત્યાના કિસ્સા બીડ જિલ્લામાં નોંધાયા હતા.
વિભાગીય આયુક્તાલયના અહેવાલમાં આ ચોંકાવનારી હકિકત સામે આવી છે. ખેડૂતોની સહાય માટે જુદી જુદી સરકારો તરફથી હજારો કરોડની ફાળવણી કરવામાં આવી હોવા છતાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકતો જ નથી. મરાઠવાડા કાયમ પાણીની અછતની સ્થિતિનો સામનો કરે છે. આ વિસ્તારમાં દરરોજ સરેરાશ ત્રણ ખેડૂત જીવન ટુંકાવે છે.
આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર મહિના દરમિયાન બીડમાં ૨૫૩, ધારાશીવમાં ૧૬૧, છત્રપતી સંભાજીનગરમાં ૧૬૦, લાતૂરમાં ૬૮, પરભણીમાં ૯૩, નાંદેડમાં ૧૬૩, પરભણીમાં ૯૩ અને હિંગોલીમાં ૪૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
પાક નિષ્ફળ જવાથી, કરજ ચૂકવી ન શકવાથી, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી પાકને થતા નુકસાન તેમજ ખેતમાલને યોગ્ય ભાવ ન મળવા જેવા કારણોસર ખેડૂતો જીવન ટુંકાવે છે.