દયાનંદ સરસ્વતીના જન્મોત્સવ નિમિત્તે રાષ્ટ્રપતિ અને યોગી આદિત્યનાથ 12 ફેબ્રુઆરીએ ટંકારા આવશે

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
દયાનંદ સરસ્વતીના જન્મોત્સવ નિમિત્તે રાષ્ટ્રપતિ અને યોગી આદિત્યનાથ 12 ફેબ્રુઆરીએ ટંકારા આવશે 1 - image

ટંકારા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર

અંધશ્રદ્ધા કુરિવાજો અને ગેરમાન્યતાઓની સામે દેશભરમાં લડત આપી લોકોએ સાચા રાહ પર લઈ જનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી અહી ધામધૂમથી ઉજવવામાં આવશે. આ નિમિત્તે તા.12મી ફેબ્રુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ હાજરી આપશે. 

મહોત્સવમાં રાજ્યપાલ અને ગુજરાતનું આખું મંત્રી મંડળ તેમજ દેશભરમાંથી 25 હજાર આર્ય સમાજીઓ હાજર રહેશે

ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ માટે તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ મહોત્સવ તા.10-11-12 એમ ત્રણ દિવસ રહેશે.ઉલ્લેખનીય છે કે અહી આશરે 200 કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આખુ મંત્રી મંડળ ટંકારામાં ઉપસ્થિત રહેશે. જયારે વડાપ્રધાન વર્ચ્યુઅલી ઉપસ્થિત થશે. તા. 12મીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ હાજરી આપશે. આર્ય સમાજનો વ્યાપ ગુજરાત સિવાય દેશના અનેક રાજ્યોમાં છે. સ્વામીજીની જન્મજયંતી નિમિતે દેશ વિદેશમાંથી આશરે 25000 ભાવિકો ટંકારામાં ઉપસ્થિત રહેશે. 

અહી ત્રણ દિવસ દરમિયાન જુદા જુદા રાજયો એમના પ્રચલિત સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરશે. અહી ટંકારાવાસીઓ માટે ત્રણેય દિવસ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. અહી સાર્વદેશીય આર્યપ્રતિનિધિ સભા દિલ્હી ,ગુજરાત આર્યપ્રતિનિધિ સભા, જ્ઞાાન પર્વ સમિતિ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા રાત દિવસ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 


Google NewsGoogle News