મહેસાણા જિલ્લાની બે ખાનગી હાઈસ્કૂલને બંધ કરવાની દરખાસ્ત રજૂ

- વિદ્યાર્થીઓને કનડગત થવાની સંભાવના

- વડનગરની સરસ્વતી વિદ્યામંદિરમાં ધો.૧૧નો વર્ગ બંધ કરવાની રજુઆત કરાઈ

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
મહેસાણા જિલ્લાની બે ખાનગી હાઈસ્કૂલને બંધ કરવાની દરખાસ્ત રજૂ 1 - image

મહેસાણા, તા.12

મહેસાણા જિલ્લાના ૯ તાલુકા મથકોએ આવેલી ૯૦ ખાનગી હાઈસ્કૂલો પૈકીની બે શાળાને બંધ કરવાની અને વડનગરની એક હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ નો વર્ગ બંધ કરવા માટેની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરવામાં આવી છે. જેના લીધે આગામી સત્રમાં વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી હાલાકી ફરજિયાત વેઠવી પડે તેવા એંધાણ વરતાઈ રહ્યાં છે.

મહેસાણા જિલ્લાના ૧૦  તાલુકાઓમાં કુલ ૨૫૮  ગ્રાન્ટેડ-સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક  શાળાઓ આવેલી છે. જેમાં મહેસાણા-૫૧, કડી-૩૫, બેચરાજી-૧૬, જોટાણા-૧૧, ખેરાલુ-૧૪, વિસનગર-૩૪, ઉંઝા-૨૪, વિજાપુર-૩૬, વડનગર-૨૬ અને સતલાસણા તાલુકાની ૧૦  હાઈસ્કૂલોનો સમાવેશ થાય છે. તેવી જ  રીતે, જિલ્લાના  ૯ તાલુકા મથકોએ કુલ ૯૦ જેટલી નોન ગ્રાન્ટ ઈન એઈડ-  ખાનગી હાઈસ્કૂલો ધમધમી રહી છે. જેમાં અલગ અલગ તાલુકા પૈકીના બેચરાજી-૩, કડી-૨૦, ખેરાલુ-૭, મહેસાણા-૨૭, સતલાસણા-૪, ઉંઝા-૪, વડનગર-૫, વિજાપુર-૯  અને  વિસનગરની ૧૧ ની શાળાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા તાલુકાના રામપુરા, પો.શોભાસણા ગામની સુદર્શન હાઈસ્કૂલને બંધ કરવા અંગેની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કરવામાં આવી છે. તેમજ વિસનગરની સ્કૂલ ઓફ વિક્ટર્સ ને બંધ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વર્તુળોએ જણાવ્યું હતુ. ઉપરાંત, વડનગર સ્થિત સરસ્વતી વિદ્યામંદિર  હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ વર્ગ બંધ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર અને મહેસાણાની શાળાઓને બંધ કરવામાં આવે તો આગામી સત્રમાં વિદ્યાર્થીઓના એડમિશન અને અભ્યાસ બાબતે અરાજકતા સર્જાવાની શક્યતાને નકારી શકાતી નથી.

વર્ગ વધારાની મંજૂરી આપવામાં તંત્રની ઢીલી નીતિ

મહેસાણા જિલ્લામાં અનુદાનિત-ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં આગામી સત્રથી ધોરણ ૧૧ અને ૧૨ ના વર્ગો વધારવાની મંજૂરી માટેની અરજી જે તે શાળાઓના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની ૧૭ ગ્રાન્ટેડ હાઈસ્કૂલોનો સમાવેશ થાય છે. જે અરજીઓને મંજૂરી માટે સરકારના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી હોઈ અને છેલ્લાં બે માસથી કોઈપણ વર્ગ વધારાની પરવાનગી આપવામાં નહીં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. જે વર્ગ વધારાની મંજૂરીનો ઈન્તજાર શાળા સંચાલકો કાગ ડોળે કરી રહ્યાં છે.


Google NewsGoogle News