મહેસાણા જિલ્લામાં 52.2 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લીધા,47.8 ટકા બાકી
- આરોગ્ય તંત્રની ૧૦૦ ટકા રસીકરણના દાવા વચ્ચે
- જિલ્લામાં સૌથી ઓછું જોટાણામાં૭૧,૨૫૧ અને મહેસાણા તાલુકો ૫,૧૭,૧૦૭ને રસીકરણમાં સૌથી મોખરે
મહેસાણા, તા.2
છેલ્લાં દોઢેક વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાએ સેંકડો લોકોને અજગરી ભરડામાં લીધા હતા. તો વળી, અસંખ્ય કોરોનાના દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાની પ્રથમ બાદ બીજી લહેરમાં લોકો સપડાઈ જતાં ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા હતા. દરમિયાનમાં સરકારે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે. જેમાં મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૦,૩૫ લાખની વસતિના પ્રમાણમાં કુલ ૨૨,૩૮ લાખ લોકોને રસીકરણના બન્ને ડોઝ આપવામાં આવ્યાં છે. જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન મહેસાણા તાલુકામાં કુલ ૫,૧૭,૧૦૭ અને સૌથી ઓછું રસીકરણ જોટાણા તાલુકામાં ૭૧,૨૫૮ નોંધાયું છે. આમ, મહેસાણા જિલ્લામાં રસીકરણના બન્ને ડોઝ ૫૨.૨ ટકા નોંધાયું છે. આમ, હાલમાં પણ ૪૮ ટકા લોકોએ રસીના એકપણ ડોઝ લીધાં નથી. સરકારે આ બાબતે ગંભીરતાથી રસીકરણની કામગીરીને આગળ ધપાવવી જોઈએ. જેથી લોકોને સંભવિત કોરોનાની ત્રીજી લહેરથી બચાવી શકાય.
મહેસાણા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સેંકડો લોકો સપડાયા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતા. જ્યારે કોરોનાની બીજી લહેર પણ લોકોની જિંદગીને જોખમમાં મુકનારી નીવડી હતી. દરમિયાનમાં કેન્દ્ર અને ગુજરાત સરકારે લોકોના જીવ બચાવવા માટે કોરોના રસીકરણને અમલી બનાવી ગામેગામ તેના કેમ્પ યોજવાની સાથે તમામ આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરી હતી. જે રસીકરણ માટે દવાખાનાઓ અને નિયત સેન્ટર્સ પર હજારો લોકોએ લીટરલી ધસારો કર્યો હતો. મહેસાણા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા શહેરની સાથે જિલ્લાના તાલુકામથકોએ કોવિડ-૧૯ અન્વયે વેક્સિનના પ્રથમ અને બીજો ડોઝ આપવાની વ્યવસ્થા કરાઈ હતી. આરોગ્ય તંત્રના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાની કુલ વસતિ ૨૦,૩૫,૨૧૧ નોંધાયેલી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં વેક્સિનનો પ્રથમ ડોઝ ૧૩,૬૮,૨૭૫ વ્યક્તિને અને બીજો ડોઝ ૮,૭૦,૫૭૦ લોકોને મળી બન્ને ડોઝ કુલ ૨૨,૩૮,૮૪૫ લોકોને આપી દેવાયા છે. જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન મહેસાણા તાલુકામાં કુલ ૫,૧૭,૧૦૭ અને સૌથી ઓછું રસીકરણ જોટાણા તાલુકામાં ૭૧,૨૫૮ લોકોનું કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ વેક્સિનેશન રિપોર્ટ ૩૦ ઓક્ટોબરના અંત સુધીમાં મુજબ મહેસાણા જિલ્લાની વસતિના પ્રમાણમાં કુલ ૫૨.૨ ટકા વેક્સિનેશન કરાયું છે. જ્યારે ૪૮ ટકા જેટલાં લોકોનું રસીકરણ કરવાનું બાકી છે.
રસીકરણ ઝુબેશને ૯ મહિના છતાં ૪૮.૮ ટકા લોકો રસીથી વંચિત
રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીમાં મહેસાણા જિલ્લો રસીકરણ ઝુબેશની કામગીરીમાં ધીમી ગતીએ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે દેખાઇ રહ્યું છે. તા.૧૬/૧/૨૦૨૧ના રોજ રસીકરણની કામગીરી શરૃ કરવામાં આવી હતી. એ સમયને આજે ૯ મહિના ઉપરાંત થવા આવ્યા તેમ છતાં પણ હજી જિલ્લામાં ૫૨.૨ ટકા લોકોને જ રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૪૮.૮ ટકા લોકો હજી પણ રસીથી વંચિત છે. જેના કારણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે મહેસાણા જિલ્લામાં આવનાર ખતરાને નકારી શકાય તેમ નથી.
જિલ્લામાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પણ રસીથી વંચિત
રાજ્યમાં દરેક જિલ્લાઓની સાથે સાથે મહેસાણા જિલ્લામાં રસીકરણની કામગીરી નવેક મહિના અગાઉ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હજુ પણ રસીના બીજા ડોઝથી વંચિત છે. જિલ્લામાં ૨૬૩૦ જેટલા હેલ્થકેર વર્કર અને ૭૦૯૩ જેટલા ફ્રન્ટલાઇન વર્કરે રસીનો બીજો ડોઝ લીધો નથી.