Get The App

રોજના ખોરાકમાં તાજા ફળો અને લીલા શાકભાજીની અગત્યતા કેટલી ગણાય ?

ફિટનેસ - મુકુંદ મહેતા

Updated: Feb 29th, 2020

GS TEAM


Google News
Google News
રોજના ખોરાકમાં તાજા ફળો અને લીલા શાકભાજીની અગત્યતા કેટલી ગણાય ? 1 - image


લીલા શાકભાજી અને તાજા ફળોનો ખોરાકમાં સમાવેશ કરવાથી જમવાના સંતોષ સાથે કેલરી ઓછી જવાને કારણે તેમનું વજન ઓછું થાય તે સ્વાભાવિક છે પણ તેઓ તેમ કરી શકતાં નથી.

આરોગ્યના અનેક ફાયદા હોવા છતાં કોણ જાણે કેમ આજકાલ લીલા શાકભાજી અને તાજા ફળફળાદીને રોજના ખોરાકમાં જોઈએ તેટલી અગત્યતા મળતી નથી. કોઈ સ્વાદનો વાંધો કાઢે તો કોઈ સમયસર લેવાનો વાંધો કાઢે પણ સાચી હકીકત એ જ છે કે જો તમારે આજીવન તંદુરસ્ત રહેવું હોય તો અદ્ભુત ગુણો વાળા લીલા શાકભાજી અને તાજા ફળોને તમારા રોજના ખોરાકમાં સ્થાન આપવું જ પડશે. આ લિસ્ટમાં અમુક શાકભાજી અને ફળો તો બારે માસ મળે છે તમે શાની આળસ કરો છો.

ફળો અને શાકભાજીને રોજના ખોરાકમાં સ્થાન આપવાના ફાયદા

૧. રોગો સામે રક્ષણ આપે છે.

બારે માસ બજારમાં મળતા લીલા શાકભાજી અને ઋતુ અનુસાર મળતા તાજા ફળો રોજના ખોરાકમાં લેવાની અગત્યતા વિષે કદાચ તમે જાણતા ના હો તો એ જરૂરી છે કે તમારા રોજના ખોરાકમાં તમે ગમે ત્યાં રહેતા હો પણ બજારમાં ઋતુ પ્રમાણે સહેલાઈથી મળતા જુદા જુદા પ્રકારના તાજા ફળોમાંથી તમને ગમતા બે કે ત્રણ ફળો અને ૨૦૦ થી ૨૫૦ ગ્રામ લીલા શાકભાજી લેવા જોઈએ તમને તંદુરસ્ત રાખવામાં તેમનામાં ભરપૂર પ્રમાણમાં રહેલા વિટામિન, મિનરલ્સ અને ફાઈબરનો મોટો ફાળો છે. તમારા શરીરને બાળપણથી મોટી ઉંમર સુધી રોગો સામે રક્ષણ આપે છે.

૨. પૈસા વાળા લોકો (અપર કલાસ)માં વજન વધતું ચાલ્યું છે.

આપણા દેશમાં ગરીબ લોકોને બાદ કરતાં પ્રતિષ્ઠિત અને પૈસાદાર લોકોમાં વજનનું પ્રમાણ વધતું ચાલ્યંસ છે તેઓ તેમના શરીરની જરૂરત કરતાં વધારે અને વજન વધારે તેવું જમે છે. આ વર્ગના પુરુષો, સ્ત્રીઓ અને હવે બાળકો સૌ કોઈના વજન વધારે દેખાય છે. લીલા શાકભાજી અને તાજા ફળોનો તેમના ખોરાકમાં સમાવેશ કરવાથી જમવાના સંતોષ સાથે કેલરી ઓછી જવાને કારણે તેમનું વજન ઓછું થાય તે સ્વાભાવિક છે પણ તેઓ તેમ કરી શકતાં નથી.

૩. જૂના (ક્રોનીક) રોગો સામે લીલા શાકભાજી અને તાજા ફળો રક્ષણ આપે છે પ્રયોગોથી સિદ્ધ થઈ ગયું છે કે લીલા શાકભાજી અને તાજા ફળોમાં રહેલા શરીરના સંચાલન માટે અત્યંત જરૂરી વિટામીન્સ, મિનરલ્સ અને ફાઈબરને કારણે ક્રોનીક (જૂના) રોગો જેવા કે હાર્ટ ડીસીઝ, સ્ટ્રોક (બ્રેઈન ડીસીઝ) અને અમુક પ્રકારના કેન્સર, આંખોની તકલીફો, બ્લડ પ્રેશર અને પાચન સંસ્થાના રોગો સામે રક્ષણ આપે છે.

૩. રોગ પ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારે છે. : તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) એટલે તમારા શરીરનું અનેક પ્રકારના રોગોથી રક્ષણ કરનાર લશ્કર કહેવાય. જો લશ્કર મજબૂત હોય તો તે દરેક દિશાઓમાંથી આવતા દુશ્મનોથી શરીરનું રક્ષણ કરી શકે. જો લશ્કર નબળું હોય તો તમારા શરીરના સાત દરવાજા (આંખ, નાક, કાન, ગળું, ચામડી અને મળદ્વાર, મૂત્રદ્વાર) મારફતે દાખલ થયેલા સૂક્ષ્મ જીવાણુઓ બેક્ટેરિયા, વાઇરસ, ફન્ગસ તેમજ એલર્જી કરનારા પદાર્થો જે શરીરના દુશ્મન કહેવાય તેમનાથી તમારા શરીરનું રક્ષણ કરી શકે નહીં જેને લીધે ચામડીના અનેક પ્રકારના રોગો થઈ શકે. શરીરને થયેલી ઈજાને રૂઝાતા વાર લાગે, શ્વાસના રોગો (ઉધરસ, શરદી દમ) થાય, જૂની (ક્રોનીક) બીમારીઓ મટે નહીં, નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી શરીરની ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) એટલી બધી વધી જાય છે કે તેનાથી નવા રોગો થતાં અટકે છે એટલું જ નહીં પણ જૂના (ક્રોનીક) રોગોમાં પણ રાહત થાય છે.

૪. બીજા ખોરાક સાથે ફળો અને શાકભાજી ખાવાથી પેટ ભરેલું લાગે છે. : તમે આખા દિવસના ખોરાક (નાસ્તો, લંચ અને ડિનર) સાથે થોડા થોડા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાવાની ટેવ પાડશો તો રોજના ખોરાકનું પ્રમાણ જાણે અજાણે ઓછું લઈ શકશો કારણ ફળો અને શાકભાજીને કારણે તમારૂ પેટ ભરેલું લાગશે.

૫. શાકભાજી અને ફળો ખાવાથી બીજો ખોરાક જાણે અજાણે ઓછો લેશો. : રોજની કેલરીની જરૂરીયાત પુરૂષો માટે ૨૦૦૦ અને સ્ત્રીઓ માટે ૧૮૦૦ ગણાય છે. તમે તમારા રોજના ખોરાક સાથે શાકભાજી અને ફળો લેશો તો તેની કેલરી ઓછી હોવાથી તમને ભૂખ ઓછી લાગશે તેથી વધારે કેલરી વાળો ખોરાક ઓછો લેશો.

૬. ચરકસંહિતામાં પણ બિમાર વ્યક્તિઓને શાકભાજી અને ફળોને ખોરાકમાં સ્થાન આપવાના લેવાના અનેક ફાયદા ગણાવ્યા છે. : જૂના વૈદક શસ્ત્રો (ચરકસંહિતા)માં પણ સાજાસમા અને બિમાર વ્યક્તિઓને ફળાહાર અને લીલા શાકભાજીનો રસ કે સૂપ આપવાથી તેમને આરોગ્યના ઘણા ફાયદા થાય છે તેનો ઉલ્લેખ છે.

૭. તાજા ફળો અને શાકભાજી નિયમિત ખાવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. : રિફાઈન્ડ કાર્બોહાયડ્રેટ (ખાંડ, ચોખા, આનજનો ચાળેલો લોટ) ખાવાથી વધારે ભૂખ લાગે છે. તેમાં ફાઈબર નામ માત્ર નહીં હોવાથી પેટ ખાલી લાગે છે અને તેથી વારેવારે ભૂખ લાગે છે તે વખતે તમારું મન ગમે તેટલું મજબૂત હોય તો પણ બહારના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાઈ જાઓ છો અને વજન વધે છે. આનાથી ઊલટું બીજા ખોરાક સાથે ફળો અને શાકભાજી ખાવાથી તમારા મનમાં કોઈ પણ પ્રકારનું દુખ થતું નથી અને વજન કાબૂમાં રહે છે એથી તમારો આત્મવિશ્વાસ વધે છે.

૮. બિમારની સારવાર માટે ડૉક્ટરો પણ ફળો અને શાકભાજી લેવાનું જણાવે છે.

ઘણી વાર બીમાર અને ઉમ્મર લાયક વ્યક્તિઓને દવાઓની ભયાનક આડઅસરથી બચાવવા માટે આજકાલ ડૉક્ટરો પણ આડઅસર વાળી દવા આપવાને બદલે શાકભાજીના રસ અને ફળો લેવાની સલાહ આપે છે.

૯. શરીરને બીમાર પાડનારા તત્વો સામે લડવાની શક્તિ આપે છે.

શરીરને બિમાર પાડનારા તત્ત્વોને વૈજ્ઞાાનિકોએ ''ફ્રી રેડિકલ'' નામ આપેલું છે અને તેનો નાશ કરનારા તત્ત્વોને 'એન્ટિઓકસીડંટ' નામ આપેલ છે. આગળ જણાવેલા સાત દરવાજા મારફતે અનેક પ્રકારના ફ્રી રેડિકલ શરીરમાં જાય છે. જો તમે રંગબેરંગી શાકભાજી અને ફળોને રોજના ખોરાકમાં સ્થાન આપશો તો તમારા શરીરમાં વિટામિન એ, વિટામીન સી, વિટામિન ઈ, અને સેલેનિયમ જેવા પાવરફૂલ એન્ટિઓક્સિડંટનું પ્રમાણ વધારે જશે. આને કારણે શરીરને નુકશાન કરનારા 'ફ્રી રેડિકલ' નાશ પામશે અને તમારી તન્દુરસ્તી જળવાઈ રહેશે.

૧૦. સૌથી પાવરફૂલ એન્ટિઓક્સિડંટ એટલે ''વિટામિન 'ઓ' અથવા ઓક્સીજન જે ચોકખી હવામાં વિપુલ પ્રમાણમાં હોય છે. લીલા શાકભાજી અને તાજા ફળોમાંથી તો આગળ જણાવેલા ઘણા એન્ટિઓક્સિડંટ તમને મળશે જ પણ કુદરતે માનવજાતને મફત ભેટ આપેલો ઓક્સિજન જો તમારે તમારા શરીરમાં લઈને આજીવન તંદુરસ્ત રહેવું હોય તો તમારે જીવનભર તમને ગમતી કસરત તે ચાલવાનું હોય, દોડવાનું હોય, તરવાનું હોય કે સાઇકલ ચલાવવાનું હોય કે લાફિંગ કલબની કસરત હોય તે, નિયમિત તમારા ઘરમાં કે કોઈ ગાર્ડનમાં તમારી અનુકૂળતાએ કરશો તો જીવનભર તંદુરસ્ત રહેશો.''

ફળો અને શાકભાજીના ફાયદાના થોડા દાખલા :

૧. લીંબુ : ૧. વિટામિન બી કોમ્પ્લેક્સ છે. ૨. પાવરફૂલ એંટીઓક્સિડંટ વિટામિન સી છે. ૩. પોટાશ્યમ છે. ૪. મેગ્નેશ્યમ છે. ૫. બાયોફ્લેવેનોઈડ્સ સાઈટ્રિક એસિડ છે. ૬. કેલ્શ્યમ છે, ૭. પેક્ટિન છે અને ઘણા બધા ફ્લેવેનોઇડ્સ છે, સવારના ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી તમારા શરીરનું મીડિયમ આલ્કલાઇન થાય છે.

૨. કેરી : ૧. ૭૬ ટકા પાવરફુલ એન્ટીઓક્સીડન્ટ વિટામીન સી છે જેનાથી ઈમ્યુનીટી વધે છે. ૨. ૨૫ ટકા બીજો પાવરફુલ એન્ટીઓક્સીડન્ટ વિટામીન એ જેનાથી આંખોને શક્તિ મળે છે. ૩. ૧૧ ટકા વિટામીન બી, ૬. ઉપરાંત વિટામીન કે થાયામીન, રીબોફ્લેવીન, નાયાસીન, ફોલિક એસીડ, વિટામીન બી, ૧૨. પેન્ટેથોનીક એસીડ અને કોલીન છે જેનાથી મગજમાં હોર્મોન ઉત્પન્ન થાય છે અને હૃદયરોગ સામે રક્ષણ મળે છે.

૪.૯ ટકા જેટલી પ્રોબયોટીક ફાઈબર છે.

૫.૯ ટકા જેટલું કોપર છે જે રક્તકણની ઉત્પત્તિમાં અને શરીરને જરૂરી એન્ઝાઈમને બનાવવામાં જરૂરી છે.

૬.૭ ટકા જેટલું મેગ્નેશ્યમ અને ૭ ટકા જેટલું પોટેશ્યમ છે જેનાથી શરીરના પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે છે.

૭. થોડા થોડા પ્રમાણમાં શરીરને જરૂરી તેવા કેલ્શ્યમ, આયર્ન, ફોસ્ફરસ, સોડીયમ, ઝીંક, કોપર, મેગેનીઝ જેવા મિનરલ્સ છે.

૮. પાકી કેરીનો ''ગ્લાયસેમિક ઈનડેક્ષ ૫૬ છે એટલે રોજ એક પાકી કેરી ડાયાબીટીસ હોય તેવી વ્યક્તિ પણ ખાઈ શકે કારણ તેનાથી ડાયાબીટીસ વધશે નહિં.''

૩. આદુ.

૧. સ્નાયુના દુખાવામાં આદુનો રસ અથવા આદુનું તેલ અદ્ભુત ફાયદો કરે છે.

૨. મગજને સજાગ અને ચેતનવંતુ રાખવા આદુંનો ઉપયોગ કરો.

૩. ઉધરસ, શરદી અને નાક ભરાઈ જવાની તકલીફ માટે આદુંનો રસ શ્રેષ્ઠ છે.

૪. અપચો, એસિડિટી અને છાતીમાં બળતરા (હાર્ટ બર્ન) માટે આદુ અકસીર દવા છે.

૫. ઉબકા અને ઉલટી થતાં અટકાવવા માટે આદુનો ઉપયોગ કરો.

૬. સાંધાના વા માટે આદુનો ઉપયોગ કરવાથી રાહત થાય છે.

૭. મોને ચોકખું કરવા આદુંનો ઉપયોગ કરો.

૮. લોહીનું પરિભ્રમણ વધારવા આદુંનો ખોરાકમાં ઉપયોગ કરો.

૯. આદુ લેવાથી ડાયાબિટીસ કાબુમાં રહેશે અને હૃદયરોગ સામે રક્ષણ મળશે.

૧૦. જમ્યા પછી થતાં ગેસ અને આફરાનું પ્રમાણ આદુને કારણે ઓછું થાય છે.

૫. પાઈનેપલ :

૧. સાંધાનો વા (આર્થરાઈટિસ)ના દુખાવામાં રાહત આપે છે.

સ્નાયુના અને સાંધાના સોજામાં પાઈનેપલમાં રહેલું બ્રોમેલીન નામનું 'પ્રોટીઓલાયટીક એન્ઝાઈમ' તાત્કાલિક ફાયદો કરે છે.

૨. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે :

પાઈનેપલમાં પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ સી અને વિટામિન એ છે જેને કારણે ઈમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) વધે છે. બેક્ટેરિયા, વાઈરસ અને બીજા સૂક્ષ્મ જીવાણુને લીધે થનારા ચેપી રોગો સામે રક્ષણ મળે છે. વિટામિન સી ને કારણે શરીરમાં ઈજા થઈ હોય તે જલ્દી રુઝાઈ જાય છે.

૩. મોના, ગળાના અને સ્તનના કેન્સર સામે રક્ષણ આપે છે :

પાઈનેપલમાં વિટામિન એ, વિટામિન સી જેવા પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ ઉપરાંત બ્રોમેલીન અને મેંગેનીઝ તેમજ ફ્લેવેનોઈડ્સ છે જેને કારણે કેન્સર સામે રક્ષણ મળે છે.

૪. પાચન ક્રિયામાં મદદ કરે છે :

પાઈનેપલમાં ફાઈબર છે અને બ્રોમેલીન છે જેને કારણે પેટના રોગો જેવા કે ગેસ, અપચો, ઉલ્ટી, ઉબકા, કબજિયાત, ઝાડા થઈ જવા વગેરેમાં રાહત આપે છે.

૫. ઉધરસ અને શરદી સામે રક્ષણ આપે છે :

આગળ જણાવ્યા પ્રમાણે પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ વિટામિન સી ને કારણે શ્વશનતંત્ર (રેસ્પીરેટરી સિસ્ટીમ)ના રોગો સામે રક્ષણ આપે છે.

૬. આંખોની જોવાની શક્તિ (વિઝન) સુધારે છે :

પાઈનેપલમાં વિટામિન એ (બિટાકેરોટિન) છે જે પણ પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ ગણાય છે. જેનાથી આંખોના કોષ (રોડ્સ એન્ડ કોન્સ)ને ખૂબ પોષણ મળે છે તેથી વિઝન સુધરે છે.

૭. હાડકાં મજબૂત થાય છે :

પાઈનેપલમાં વિપુલ પ્રમાણમાં મેંગેનીઝ છે જેને કારણે હાડકાં બનવાની, વધવાની અને તૂટી ગયા હોય તો સાંધવાની ક્રિયા સારી રીતે થાય છે.

૮. મો અને દાંતને ચોખ્ખા રાખે છે :

પાઈનેપલમાં વિટામિન સી અને બ્રોમેલીન છે જેને કારણે મોંમાં કોઈ પણ જાતનો ચેપ નથી લાગતો અને મોં ચોખ્ખું રહે છે.

૯. બ્લડ પ્રેશર કાબુમાં રહે છે :

પાઈનેપલમાં પોટાશ્યમ છે જેને કારણે લોહીની નળીઓમાં લોહી ફરવાની ક્રિયા સરળ રીતે થાય છે એટલે બ્લડ પ્રેશર કાબુમાં રહે છે.

૧૦. પાઈનેપલમાં પોટાશ્યમ ઉપરાંત કોપર છે જેને લીધે લોહીના રક્તકણ એકદમ તંદુરસ્ત રહે છે.

૧૧. હાર્ટએટેક આવતો અટકે છે :

પાઈનેપલને લીધે લોહીની નળીઓની અને તેમાં ફરતા લોહીના કામમાં કોઈ વાંધો નથી આવતો તેથી હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જાય છે.

૬. દાડમ

૧. હૃદયને તંદુરસ્ત રાખે છે.

૨. સાંધાના દુખાવામાં રાહત આપે છે.

૩. દાડમનો રસ પીવાથી બ્લડ પ્રેશર કાબુમાં રહે છે.

૪. કેન્સર સામે રક્ષણ આપે છે.

૬. શારીરિક શક્તિમાં વધારો કરે છે.

૭. પાચન ક્રિયામાં મદદ કરે છે.

૮. હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.

૯. અવાજ બેસી ગયો હોય ત્યારે દાડમનો રસ ધીરે ધીરે ગળા નીચે ઉતારવાથી અવાજ ખૂલી જાય છે.

૧૦. આયુર્વેદના મત પ્રમાણે દાડમના રસમાં મધ નાખીને અથવા દાડમની છાલના ચૂર્ણમાં મધ નાખીને રોજ લેવાથી સંગ્રહણીના દરદમાં ફાયદો થાય છે.

૧૧. વારે વારે નસકોરી ફૂટતી હોય ત્યારે દાડમનો રસ પીવાથી તેમાં રહેલા વિટામિન સી ને લીધે રાહત થાય છે.

૧૨. ખટમીઠા દાડમના રસમાં ખાંડ નાખીને પીવાથી પેટમાં થતી બળતરા અને ગભરામણ દૂર થાય છે.

૭. ખજૂર

૧. ખજૂરમાં અઢળક પોષક તત્ત્વો છે.

૨. ખજૂરમાં ફાઈબર (રેસા) છે.

૩. પેટનો દુખાવો થતાં અટકે છે.

૪. ગર્ભવતી સ્ત્રીને લાભ થાય છે.

૫. હાડકાં મજબૂત થાય છે.

૬. રક્તક્ષીણતા (એનીમિયા) માટે ખજૂર ખાઓ.

૭. ચામડી પર થયેલી એલર્જીના કેસમાં આરામ આપે છે.

૮. વજન વધારવામાં મદદ કરે છે.

૯. જ્ઞાાનતંતુની સિસ્ટમ (નર્વસ સિસ્ટમ) માટે ખૂબ લાભદાયક છે.

૧૦. હાર્ટએટેક તેમજ બ્રેઇન એટેક થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

૮. ભીંડા

નિયમિત ૨૦૦ થી ૨૫૦ ગ્રામ ભીંડાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી :

૧. ડાયાબિટીસવાળા દર્દીઓના બ્લડ સુગર લેવલ બે મહિનામાં ઓછા થાય છે.

૨. ભીંડામાં રહેલ રેસા (ફાઈબર)ને કારણે લિવરમાં 'બાઈલ એસિડ'ની સાથે આવેલા ટોક્સીક પદાર્થો નાશ પામે છે.

૩. ભીંડામાં રહેલા રેસા (ફાઈબર)ને કારણે ખોરાકનું પાચન થયા પછી રહેલા ટોક્સીક પદાર્થો મળ સાથે સહેલાઈથી બહાર નીકળી જાય છે.

૪. ભીંડામાં રહેલા રેસા (ફાઈબર) 'પ્રોબાયોટિક' જેવું કામ કરે છે.

૫. ભીંડામાં રહેલા રસાયણિક પદાર્થોને કારણે માનસિક રીતે નબળા, થાકેલા અને હતાશ વ્યક્તિઓને ઘણો ફાયદો થાય છે.

૬. ભીંડા આલકલાઇન છે તેના ઉપયોગથી ખોરાકનું પાચન થયા પછી બાકી રહેલા એસિડથી આંતરડાની અન્તરત્વચા (મ્યુક્સ મેમ્બરેન)ને નુકશાન થતું નથી અને હોજરી કે આંતરડામાં ચાંદા (અલ્સર) પડતાં નથી.

૭. ભીંડાના ઉપયોગથી ગળામાં, ફેફસામાં સોજો થતો અટકે છે અને આ ઉપરાંત સંગ્રહણી (આઈ.બી.એસ.)માં ફાયદો કરે છે.

૮. ભીંડામાં રહેલી ફાઈબરને કારણે કબજિયાત થતાં અટકે છે.

૯. ભીંડામાં રહેલ વિટામીન સી પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ છે જેને લીધે દમના દર્દીઓને ઘણી રાહત થાય છે.

૧૦. જાપાનમાં થયેલા પ્રયોગ અનુસાર ભીંડાનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી આંતરડાના કેન્સર થતાં અટકે છે.

૧૧. ભીંડાનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી મોતિયો આવવાની ક્રિયા ધીમી પડે છે.

૧૨. ભીંડાના ખોરાકમાં નિયમિત ઉપયોગથી લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું થાય છે.

૯. કેળાં

કેળાં શરીર માટે કેટલા બધા ફાયદા કારક છે

૧. બ્લડપ્રેશર.

એક કેળામાં અંદાજે ૪૨૪ મી.ગ્રામ જેટલું પોટાશ્યમ છે અને ૧ મી.ગ્રામ જેટલું ઓછું સોડિયમ છે. ૨. કેળા ખાવાથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. બ્રેઈન સ્ટ્રોક સામે રક્ષણ મળે છે. ૩. એનીમિયા કેળામાં આયર્ન છે. ૪. પેટના પ્રોબ્લેમ કેળામાં સોલ્યુબલ ફાઈબર છે જેણે કારણે ખોરાકનું પાચન બરાબર થાય છે. ઝાડા થતાં નથી પેટનો દુખાવો, ગેસ અને કબજિયાત થતાં નથી પાઈલ્સ (હરસ) થતાં અટકે છે. ૫. મગજના પ્રોબ્લેમ કેળામાં ટ્રિપ્ટોફેન નામનો પદાર્થ છે. કેળાં લેવાથી ફાયદો થાય છે. ૬. એથ્લેટ (કસરતબાજ) માટે કેળા શ્રેષ્ઠ ફળ ગણાય છે. ૭. કેન્સર સામે રક્ષણ આપે છે. ૮. ચામડી અને સુવાળી અને ચમકતી બનાવે છે. કેળામાં રહેલા ચરબીવાળા પદાર્થોને કારણે કેળાનો ખોરાકમાં રોજ ઉપયોગ કરનારાની ચામડી સુવાળી, કરચલી વગરની રહે છે.

૧૦. ટામેટા

૧. જૂની કબજિયાતમાં રોજ બે કાચા ટામેટા સલાડ તરીકે ખાવાથી ૧૫ દિવસમાં ફાયદો થાય છે કારણ તેમાં ફાઈબર છે. ૨. આખા દિવસમાં બધા મળીને ચાર ટામેટાં ખાવાથી તમારા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. ૩ રોજના ખોરાકમાં સલાડ તરીકે બે કે ત્રણ ટામેટા ખાવાથી પેટનો દુખાવો, ગેસ અને ઉબકા અને ઝાડા થતાં નથી. ૪. ટામેટામાં વિટામિન એ, વિટામીન સી અને વિટામિન ઈ તેમજ લાયકોપેન નામનો ફલેવેનોઈડ છે ૫. ટામેટાંમાં રહેલ ''લાયકોપેન'' હાડકાંને મજબૂત કરવામાં અદ્ભુત રીતે મદદ કરે છે. ખાસ કરીને મેનોપોઝમાં આવેલી સ્ત્રીઓના હાડકાં નબળા પડતાં અટકે છે. ૬. ટામેટામાં વિટામિન એ છે તમારી આંખના કોષને તંદુરસ્ત રાખે છે. ૭. ટામેટા હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે. ૮. ટામેટાનો ખોરાકમાં નિયમિત રીતેં ઉપયોગ કરવાથી કિડની અને ગોલબ્લેડર સ્ટોન થતાં નથી. ૯. ટામેટાં રોજ લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. ૧૦. ટામેટા રોજ ખાવાથી વજન ઓછું થાય છે.

Tags :