ભાયલીમાં ઘોડિયામાં પુત્રીને રડતી મૂકી માતાનો ફાંસો ખાઇને આપઘાત

૨૪ વર્ષની પરિણીતાના રહસ્યમય આપઘાત અંગે પોલીસ દ્વારા તપાસ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ભાયલીમાં  ઘોડિયામાં પુત્રીને રડતી મૂકી માતાનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા, તા.20 વડોદરા નજીક ભાયલી ખાતેના એક મકાનના બેડરૃમમાં ઘોડિયામાં માસૂમ પુત્રીને રડતી મૂકી માતાએ પંખા પર ઓઢણીથી ગળા ફાંસો ખાઇ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ભાયલી ખાતે અર્બન રેસિડેન્સી ખાતે રહેતી નસરીનબાનુ ફરહાન પીરઝાદા (ઉ.વ.૨૪) ઘરકામ કરતી હતી. તેનો પતિ ગોરવા વિસ્તારના મોલના એક શોપમાં નોકરી કરે છે. ગઇકાલે બપોરે ત્રણ વાગે ઘરકામ પૂર્ણ કરી નસરીનબાનું બેડરૃમમાં ગઇ હતી અને દરવાજો બંધ કરી દીધો હતો. ચાર વાગે બેડરૃમમાંથી નસરીનની દોઢ વર્ષની પુત્રીનો રડવાનો ખૂબ અવાજ આવતો હોવાથી નસરીનની જેઠાણી આફતાબબેગમે બૂમ પાડી હતી.

બે-ત્રણ વખત બૂમ પાડવા છતાં અંદરથી નસરીનનો કોઇ અવાજ નહી આવતા તેઓ જાતે ઊઠીને બેડરૃમનો દરવાજાને ધક્કો મારતા દરવાજો ખૂલી ગયો  હતો અને સામે જ પંખા પર ઓઢણીથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં નસરીનની લાશ લટકતી અને નજીકમાં ઘોડિયામાં બાળકી રડતી જણાઇ હતી. આ દ્રશ્ય જોતાં જ આફ્તાબબેગમે બૂમ પાડી ઘરના અન્ય સભ્યોને બોલાવ્યા હતાં. આ અંગે તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ૨૪ વર્ષની પરિણીતાએ ક્યાં સંજોગોમાં ગળા ફાંસો ખાઇને મોત વ્હાલુ કર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News