વડોદરા યોગમય બન્યું : ટેરેસ પર, મંદિરોમાં, મેદાનોમાં, શાળાઓમાં સર્વત્ર યોગ જોવા મળ્યો
Updated: Jun 21st, 2023
- શહેર-જિલ્લામાં બે હજારથી વધુ સ્થળોએ ‘યોગા ફોર વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર યોગ દિવસની થશે ઉજવણી
વડોદરા,તા.21 જુન 2023, બુધવાર
આજે તા.21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ બે હજારથી વધારે સ્થળો ઉપર સામૂહિક યોગાભ્યાસનું આયોજન થયું હતું શહેર અને જિલ્લામાં આવેલા વિશિષ્ટ પ્રવાસન અને દર્શનીય સ્થળો ઉપર પણ વહેલી સવારે યોગિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગાભ્યાસુઓ આ ઉજવણીમાં સહભાગી થઈ યોગિક ક્રિયાઓ થકી ‘યોગા ફોર વસુધૈવ કુટુંબકમ’ ની થીમ પર ઉજવણી કરી હતી અને યોગ થકી નિરામય વિશ્વનો સંદેશો આપ્યો હતો. આ વર્ષે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોગનગરી કાયાવરોહણ સ્થિત લકુલીશ મંદિર ખાતે યોજાયો હતો.
ભગવાન લકુલીશજીના સાંનિધ્યમાં અઢી હજાર જેટલા લોકો સામૂહિક યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગનગરી કાયાવરોહણમાં પૂર્ણ સ્વરૂપે બિરાજમાન ભગવાન લકુલીશના કાળમાં પુશપતિચાર્યોને યોગી દીક્ષા અને યોગ શિક્ષા આપવાનું ભગીરથ કાર્ય થતું હતું, તે બાબતને ધ્યાને રાખી અહીં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરામાં આરોગ્ય કેન્દ્રો, શાળા-કોલેજો ઉપરાંત તમામ તાલુકા મથકોના દર્શનીય અને પ્રવાસન સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિનોર તાલુકાના માલસર અને દિવેર, ડભોઈ તાલુકાના ત્રિવેણી સંગમ, હિરાભાગોળ, ગઢભવાની મંદિર, તેન તળાવ, મલ્હારરાવ ઘાટ; પાદરા તાલુકામાં નારાયણ સરોવર; વડોદરા તાલુકામાં વરણામા ત્રિમંદીર, સેવાસી વાવ, સલાડ રાવ, આસોદ વાવ; વાઘોડીયા તાલુકામાં કુમાર શાળા, કરજણ તાલુકામાં નારેશ્વર મંદિર, ભરતમુનિ હોલ, કરજણ તળાવ અને કોળીયાદ વાવ, સાવલી તાલુકામાં ભીમનાથ મહાદેવ તથા આર્ટ્સ અને કોમર્સ કોલેજનો પણ સમાવેશ થાય છે.
આ યોગ દિવસની ઉજવણીમાં વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ સહભાગી થઈ હતી . ખાસ કરીને યોગિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓના યોગ પ્રશિક્ષકો દ્વારા ગામે ગામ યોગક્રિયાઓ કરાવવામાં આવ્યા હતા. ઉપરાંત વડોદરા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ આયુષ કેન્દ્રો ઉપર પણ યોગાભ્યાસ કાર્યક્રમો થયા હતા.