પોલીટેકનિકમાં એનબીએ એક્રેડિટેશન મેળવવા માટે કવાયત શરુ કરાઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી બાદ હવે પોલીટેકનિકમાં સત્તાધીશોએ એનબીએ(નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન)નુ એક્રેડિટેશન મેળવવા માટે કવાયત હાથ ધરી છે.
ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર અને સિવિલ વિભાગને એક્રેડિટેશન મળેલુ છે.જ્યારે મિકેનિકલ વિભાગ દ્વારા એક્રેડિટેશન મેળવવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.ટેકનોલોજી ફેકલ્ટીના બાકીના વિભાગોને એક્રેડિટેશન મળે તેમ નથી.કારણકે આ વિભાગોમાં પ્રોફેસરની તમામ પોસ્ટ ખાલી છે.
બીજી તરફ પોલીટેકનિકમાં પણ એક્રેડિટેશન મેળવવાની કવાયતના ભાગરુપે આજે એક વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં પોલીટેકનિકના અધ્યાપકોને એક્રેડિટેશન મેળવવા માટે કઈ રીતે અરજી કરવાની હોય છે અને કયા કયા પ્રકારની જાણકારી સુપરત કરવાની હોય છે તેની માહિતી આપવામાં આવી હતી.ડિસેમ્બરમાં એક્રેડિટેશન મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે.
જોકે આશ્ચર્યની વાત એ છે કે, જેનુ એક્રેડિટેશન મેળવવાનુ છે તે પોલીટેકનિકના ચાર એન્જિનિયરિંગ વિભાગો સિવિલ, મિકેનિકલ, પેટ્રોકેમિકલ અને ઈલેક્ટ્રિકલ વિભાગમાં એક પણ કાયમી હેડ નથી.ફેકલ્ટીના એક વરિષ્ઠ અધ્યાપકનુ કહેવુ છે કે, જો કાયમી હેડની નિમણૂંક વગર એક્રેડિટેશન મળવાને લઈને અનિશ્ચિતતા છે.ઉલ્લેખનીય છે કે, પોલીટેકનિક પણ કાયમી અધ્યાપકોની ખાલી જગ્યાઓની સમસ્યા સામે ઝઝૂમી રહી છે.પોલીટેકનિકમાં કાયમી અધ્યાપકોની કુલ ૧૨૮ જગ્યાઓ છે અને તેમાંથી ૪૮ જ જગ્યાઓ જ ભરાયેલી છે.તેમાં પણ પેટ્રોકેમિકલ વિભાગમાં માત્ર ૨ જ કાયમી અધ્યાપકો છે.