સરદાર ભવનના ખાંચામાં રોડ માપી ગેરકાયદે દબાણો તોડી પાડવા માગ

પાર્કિંગની જગ્યા છોડયા વિના કોમર્શિયલ બાંધકામો કરી દીધા છે : નકશામાં પાર્કિંગ હોય છે, સ્થળ પર નથી હોતું

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News

 સરદાર ભવનના ખાંચામાં રોડ માપી ગેરકાયદે દબાણો તોડી પાડવા માગ 1 - imageવડોદરા,સરદાર ભવનના ખાંચામાં સાંકડા રોડ પર પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે અને દબાણો તથા પાર્કિંગના પ્રશ્નો છે, ત્યારે આ રોડની માપણી કરી દબાણ કરેલા બાંધકામો દૂર કરવાની માગણી મ્યુનિ. કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિએ આ અંગે રજૂઆત કરી છે કે સરદાર ભવન ખાતામાં ફાયરની એનઓસી અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોવાથી ખોટી રીતે ખુલી ગયેલા શોરૃમો સીલ કરવામાં આવ્યા છે.

 અહીં વર્ષોથી રહેણાંક વિસ્તાર છે. આજકાલ ખુલી ગયેલા બે અને ત્રણ માળના શોરૃમોના બાંધકામો કોમર્શિયલ પરવાનગી સાથે હોવા જોઇએ. તેના બદલે પાર્કિંગની જગ્યા છોડવી પડે નહિ એટલે રહેણાંક બાંધકામની પરવાનગી મેળવી અથવા જૂનું રહેણાંક મકાન રિપેરીંગ કરવાની મંજૂરી મેળવી તેમાં મોટા કોમર્શિયલ શોરૃમનું બાંધકામ કરી દેવાયું છે. દરેક શોરૃમના માલિક અને નોકરી કરવા આવતા કર્મચારીઓના વાહનો અને આવેલા ગ્રાહકોના વાહનો ભેગા થતા સરદાર ભવનના ખાંચામાં રસ્તો જામ થઇ જાય છે. ખરેખર તો દરેક શોરૃમને જી.ડી.સી.આર મુજબ પોતાનું પાર્કિંગ હોવું જોઇએ.

 કેટલીક જગ્યામાં બાંધકામ પરવાનગી મેળવવા નકશામાં પાર્કિંગ દર્શાવેલું હોય, પરંતુ સ્થળસ્થિતિ પર પાર્કિંગ હોતું નથી. અવરજવર કરવાના રોડ રસ્તા ઉપર પાર્કિંગ કરી દબાણ કરવામાં આવે છે. ઉપરાંત અવરજવર કરતા રાહદારીઓ સાથે દાદાગીરી અને ઝઘડા કરવામાં આવે છે. સરદાર ભવનના ખાંચાનો રોડ વડોદરાના શહેરી વિસ્તારને કારેલીબાગ, સમા, ફતેહગંજ વિસ્તારને જોડતો સીધો રસ્તો છે, એટલે આ રસ્તો દબાણમુક્ત અને ખુલ્લો રહેવો જોઇએ. જો કે આ રોડ ધીમે ધીમે સાંકડો થઇ ગયો છે. સરદાર ભવનના ખાંચામાં દરેક નવા બંધાયેલા શોરૃમ કે દુકાનના રેકર્ડ ઉપર દર્શાવેલા મૂળ માલિકી પ્લોટની સાઇઝ અને હાલના બાંધકામને કોર્પો.ની બાંધકામ પરવાનગી શાખાએ તપાસીને રસ્તા ઉપરનું દબાણ પણ દૂર કરવા માગણી કરી હતી.


Google NewsGoogle News