વડોદરા: શિક્ષણ સમિતનો 50 મો બાળમેળો તારીખ 27 થી ત્રણ દિવસ સુધી કમાટી બાગમાં યોજાશે
- બાળમેળાને સયાજી કાર્નિવલ નામ અપાયું
- જી 20 ના થીમ ઉપર બાળમેળાનું આયોજન
- ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે
વડોદરા,તા.23 જાન્યુઆરી 2023,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો તારીખ 27 થી ત્રણ દિવસ એટલે કે તારીખ 29 સુધી કમાટીબાગ ખાતે યોજાશે. આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ અપાયું છે. તારીખ 27 ના રોજ સવારે 9:00 વાગે બાળમેળાનું ઉદ્ઘાટન થશે અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે તેમ જાણવા મળ્યું છે. શિક્ષણ સમિતિની 120 શાળાઓ છે. જેમાં આશરે 38,000 બાળકો છે. બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળાનું વિશેષ આકર્ષણ રહ્યું છે, અને દર વર્ષે જાન્યુઆરીમા તેનું આયોજન થાય છે. આ વર્ષે 50મો બાળમેળો યોજાશે. જેમાં દર વર્ષની માફક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મનોરંજન સહિતના વિવિધ વિભાગો મુજબ 100 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે. બાળકોમાં એડવેન્ચરની પ્રવૃત્તિનું પણ આકર્ષણ રહ્યું છે, અને તે માટે પણ વિભાગ ઉભો કરવામાં આવશે. આ સિવાય વિસરાયેલી રમતોનું પણ આકર્ષણ રહેશે. આ વર્ષે ભારતને જી 20 નું યજમાન પદ મળ્યું છે અને બાળમેળામાં તેનું વિશેષ આકર્ષણ ઊભું કરાશે. જી 20ના વસુધૈવ કુટુંબકમ થીમ પર બાળમેળાનું આયોજન થશે અને વિવિધ વિભાગોમાં પણ આ વખતે વધારો કરવામાં આવશે. બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવતો અને બાળકને અભિવ્યક્ત કરતો આ બાળમેળો ત્રણ દિવસ ચાલે છે. તેમાં ત્રણ ચાર લાખ લોકો મુલાકાત લે છે. બાળમેળા માટે શિક્ષણ સમિતિના બજેટમાં 40 લાખની જોગવાઈ કરવામાં આવી છે.