નવરાત્રિ અને દશેરામાં વડોદરાના લોકોએ ૨૫૦ કરોડના વાહનો ખરીદયા
વડોદરાઃ વડોદરામાં નવરાત્રિ તેમજ દશેરાના તહેવારમાં ૨૫૦૦ જેટલી કાર અને ૫૦૦૦ જેટલા ટુ વ્હીલર મળીને કુલ ૨૫૦ કરોડ રુપિયાના વાહનોનુ વેચાણ થયુ હોવાનો અઁદાજ છે.
આ પૈકીના મોટાભાગના વાહનોની ડિલિવરી આજે દશેરાના દિવસે તેમજ અગાઉના બે દિવસ દરમિયાન થઈ છે.વડોદરામાં કુલ ૭૫૦૦ વાહનો વેચાયા છે.અગાઉના વર્ષ કરતા આ આંકડો ઘણો વધારે હોવાનુ અનુમાન છે.
નવરાત્રિ દરમિયાન અને ખાસ કરીને આઠમ, નોમ તેમજ દશેરાના દિવસે લોકો વાહન ખરીદવાનુ શુભ માનતા હોય છે.આજે દશેરાના દિવસે શહેરના મોટા ભાગના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર શો રુમોમાં વાહનોની ડિલિવરી લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી.કેટલાક શો રુમ સંચાલકોએ ઢોલ નગારા વગાડીને ગ્રાહોકને વાહનોની ડિલિવરી આપી હતી.
દશેરાના દિવસે નિમિત્તે વડોદરાવાસીઓ ફાફડા જલેબી પર પણ તુટી પડયા હતા.ફાફડા અને જલેબીના ભાવમાં ગત વર્ષ કરતા ૧૫ થઈ ૨૦ ટકાનો વધારો થયો હતો.આજે ફાફડાનો ભાવ લગભગ ૪૦૦ રુપિયે કિલો હતો અને જલેબીનો ભાવ ્પ્રતિ કિલો ૬૦૦ રુપિયાની આસપાસ હતો.જોકે ફાફડા-જલેબી અને સાથે સાથે ચોળાફળીની ખરીદી કરવા માટે લોકોએ દુકાનોથી માંડીને રસ્તા પર ઉભેલા સ્ટોલો પર ભારે ભીડ જમાવી હતી.એક અંદાજ પ્રમાણે વડોદરાના લોકો આજે ૬ કરોડ રુપિયાના ફાફડા જલેબી ખાઈ ગયા હતા.દશેરા નિમિત્તે શહેરના પોલીસ હેડ ક્વાર્ટર, લક્ષ્મી વિલાસ પેલેસ સહિત વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યુ હતુ.તેની સાથે સાથે નાની મોટી કંપનીઓ, દુકાનોમાં પણ મશિનો તથા રોજગારી પૂરી પાડતા સાધનોની પૂજા કરવામાં આવી હતી.