પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક અને ધન્ય ઘડી વધાવવા વડોદરા તત્પર
૧૨.૩૦ વાગ્યે આખુ વડોદરા જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠશે
વડોદરા : ૫૫૦ વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામજીની જન્મભૂમિ સ્થળ પર ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને જે ધન્યઘડીની રાહ ૧૨૦ કરોડ હિન્દુઓ જોઇ રહ્યા હતા તે ઘડી આવી પહોંચી છે. સોમવારે સવારે વિજય મુહૂર્તમાં ભગવાન શ્રી રામલલ્લાના વિગ્રહ (પ્રતિમા)ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે વડોદરાના ૨૨ લાખ લોકો પણ તત્પર છે અને દરેક લોકોએ પોતાની રીતે તૈયારીઓ કરી દીધી છે.
વડોદરામાં રવિવાર સાંજથી જ માહોલ 'રામમય' બની ગયો હતો.શહેર આખુ રોશનીથી ઝળહળી ઉઠયું હતું. લોકોનો ઉત્સાહ અપાર હતો. સાયકલથી લઇની લક્ઝરીયસ ગાડઆીઓમાં, ઝુપડાથી લઇને બંગલાઓ પર જયશ્રી રામ લખેલા અને રામજીના ચિત્ર સાથેના ભગવા લહેરાવવા લાગ્યા હતા. જાહેર માર્ગો અને ફૂટપાથો પર પણ પથાવાળાઓ બધી ચીજ વસ્તુઓ બાજુ પર મુકીને ભગવા ધ્વાજનું વેચાણ કરતા જ નજરે પડતા હતા.
શહેર રોશનીથી ઝળહળી ઉઠયુ, ઘરે ઘરે રંગોળી સજાવાઇ, રવિવારે અનેક સ્થળોએ રામજી કી સવારી નીકળી, આજે રામયાગ સહિત વિવિધ કાર્યક્રમો
બીજી તરફ સોમવારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વની ઉજવણી થશે. તેનું જીવંત પ્રસારણ લોકો નિહાળી શકે તે માટે વડોદરાના મંદિરોમાં, જાહેર સંસ્થાનોમાં, જાહેર સ્થળો પર વિશાળ એલઇડી સ્ક્રિન લોકોએ લગાવ્યા છે. વડોદરાના વિવિધ મંદિરોમાં કાલે સવારે રામ યજ્ઞાનું આયોજન કરાયુ છે. રામધૂન અને સુંદરકાંડના પણ આયોજન થયા છે. મંદિરો દ્વારા સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ૧૦૧થી લઇને ૧૦૦૧ દિવડાઓની મહાઆરતીના પણ આયોજન થયા છે. લાડુ વિતરણ અને મહાપ્રસાદ વિતરણ (ભંડારા)ના પણ આયોજન થયા છે. સંસ્થાઓ, સંગઠનો અને લોકો પ્રતિનિધિઓ દ્વારા એવુ આયોજન થયુ છે કે સોમવારે ૧૨.૩૦ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ આખા વડોદરામાં ઘર ઘરમાં જયશ્રી રામના નારા ગુંજી ઉઠે જેથી વડોદરામાં અત્ર તત્ર સર્વત્ર રામમય વાતાવરણ બની જાય.
આજે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિવિધ મંદિરોમાં યોજાનાર કાર્યક્રમો
પથ્થર ગેટ રામજી મંદિરમાં ભજન સંધ્યા, મહાઆરતી
વિશ્વામિત્રી શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ રામાયણ પાઠ, કાર સેવકોનું અભિવાદન
દાંડિયાબજાર બ્રાહ્મણ સભા હોલ ખાતે પંચાયતન અભિષેક પૂજન
શ્રી રામજી મંદિર જંબુબેટ ખાતે મહાપૂજા, રામધૂન, રામરક્ષા સ્તોત્ર પાઠ, મહાઆરતી, સુંદરકાંડ
૧ ઇંચના રામાયણના દર્શન -કલ્યાણપ્રસાદ હવેલી
માંડવી ખાતે અશ્વિન પાઠકજીના મુખેથી સુંદરકાંડ
કલાઘોડા રામજી મંદિર ખાતે સનાતન રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા અયોધ્યાથી આવેલા જન્મભૂમિની માટી ભરેલા કળશનું પુજન થશે.
ગોત્રી હનુમાનજી- શનિદેવ મંદિરમાં ૫૦૦ દિવડાની આરતી અને લાડુ પ્રસાદ વિતરણ
માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારાપંચશીલ ગ્રાઉન્ડ ખાતે ૫૦૧ કુંડી મહાવિષ્ણુ યાગ
હરણી ભીડ ભંડન મંદિરમાં બપોરે ૧૦૦૦ દિવડાની આરતી, અખંડ રામાયણની પૂર્ણાહૂતિ, રામધુન, મહાઆરતી સાંજે ૭.૩૦ કલાકે
આજે એસએસજી હોસ્પિટલના તમામ દર્દી અને સ્ટાફને લાડુનું વિતરણ
ભગવાન રામ ફક્ત સનાતની હિન્દુઓના જ નથી પરંતુ ભારતમાં રહેતા તમામ ધર્મ, સંપ્રદાય અને જ્ઞાાતિના છે એટલે અમે લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાની ધન્ય ઘડીને વધાવવા માટે એસએસજી હોસ્પિટલના તમામ દર્દીઓ, દર્દીઓના સંબંધીઓ અને ડોક્ટરો સહિતના સ્ટાફને સોમવારે રામજીના પ્રસાદ તરીકે પ્રત્યેકને લાડુનું વિતરણ કરીશું.આશરે ૫૦૦૦થી વધુ લાડુનું વિતરણ થશે તેમ કારેલીબાગમાં થતા શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના પ્રમુખ અને નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કમલેશ પરમારે કહ્યું હતું.