જમીન લોનના વ્યાજ પેટે પડાવી લેવાનો વડોદરાના દંપતીનો કારસો : પોલીસ ફરિયાદ
વડોદરા,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વડિયા ગામે ખેતીની જમીન ધરાવતા બે ભાઈઓની જમીન વડોદરાના ગજેરા દંપત્તીએ એક કરોડની રકમના બદલામાં 7 કરોડ વધુ વ્યાજ વસૂલી કરવા પડાવી લેવાનો કારસો રચ્યો હોવાથી ફરિયાદ નોંધાવાઈ છે.
પંચમહાલ જિલ્લાના હાલોલની આમ્રપાલી સોસાયટીમાં રહેતા 51 વર્ષના ગોપાલ હિરજી સોરઠિયાએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનું મૂળ વતન સાવલી તાલુકાનું વડિયા ગામ છે. જ્યાં તેઓ ખેતી કામ કરે છે. ગોપાલભાઈના મોટાભાઈ કાનજીભાઈને ખેતી અને વ્યવસાય માટે નાણાંની જરૂર વર્ષ 2011 માં પડી હતી. તેથી વડોદરાના અકોટા વિસ્તારની સેન્ડલ વુડ રેસીડેન્સીમાં રહેતા ધીરજલાલ નાથાલાલ ગજેરા પાસેથી ટુકડે ટુકડે એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ વર્ષ 2019 સુધીમાં કાનજીભાઈએ રૂ.49,33,000 ધીરજભાઈને પરત ચૂકવી દીધા હતા. અને બાકી નીકળતા રૂપિયા 50,67,000 ચૂકવવા માટે તૈયાર હતા. પરંતુ ધીરજભાઈ અને તેમના પત્ની રસીલાબેને કાનજીભાઈ પાસે બાકી રકમ અને વ્યાજના મળી કુલ 8 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તેથી કાનજીભાઈએ તેમને 16 એકર જમીન વેચાણ દસ્તાવેજ કરી દીધી હતી. તેટલાથી ધીરજભાઈ એ સંતોષ માન્યો ન હતો. અને ગોપાલભાઈની આઠ એકર જમીન જામીનગીરી પેટે કબજા વગરનું બાનાખત કરાર કરી લઈને લઈ લીધી હતી. ધીરજભાઈ પાસે દેવદારનું કોઈ લાયસન્સ નથી તેમ છતાં સાત કરોડ રૂપિયાનું વ્યાજ વસૂલી કરી ગુનો આચાર્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.