વડોદરા પોસ્ટરકાંડમાં પોલીસે આપેલી નોટીસનો જવાબ લખાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકે પહોંચ્યા

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
વડોદરા પોસ્ટરકાંડમાં પોલીસે આપેલી નોટીસનો જવાબ લખાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકે પહોંચ્યા 1 - image

વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર

વડોદરા શહેરના સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણી માટેના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર કાંડમાં તપાસનો રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી સુધી પહોંચ્યો છે. ગતરોજ વારસીયા પોલીસ મથક દ્વારા રૂત્વિજ જોશીને હાજર રહેવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. જેનો જવાબ આપવા માટે તેઓ આજે મહાત્માં ગાંધીજીના કટાઉટ સાથે જવાબ આપવા માટે હાજર થયા છે. આ તકે તેમણે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. 

વડોદરાથી ત્રીજી ટર્મના સાંસદના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થયું હતું. રાત્રીના અંધારામાં લગાવાયેલા પોસ્ટરો લગાડનારાઓ સામે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી પકડી પાડવામાં આવ્યા હતા. તપાસના રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીને હાજર થવા નોટીસ પાઠવવામાં આવી હતી. જેના અનુસંધાને જવાબ આપવા તેઓ પહોંચ્યા છે. 

આ પ્રસંગે રૂત્વિજ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વારસીયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ ગતરોજ મારા ઘરે આવ્યા હતા. તેમણે મને નોટીસ પાઠવી હતી. નોટીસમાં બે દિવસમાં નિવેદન આપવા માટે જણાવ્યું હતું. અમે કાયદાનું પાલન કરનારા લોકો છીએ અને કાયદામાં માનીએ છીએ. પીઆઇએ કીધું એટલે પહેલા જ દિવસે હું હાજર થઇ ગયો છું. કાયદાકીય પ્રક્રિયામાં સંપુર્ણ સહકાર આપવાનો છું. બીક એને લાગે જેણે કંઇ ખોટું કર્યુ હોય. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મને બે વર્ષ પૂર્ણ થયા છે. બે વર્ષ દરમિયાન ભાજપ સામેના આંદોલનો જાહેરમાં કર્યા છે અને બેનર પોસ્ટર સાથે પરવાનગી લઇને આંદોલન કર્યા છે. અમે સાંસદ વિરૂદ્ધ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરા શહેરનો વિકાસ નથી થયો તે કોંગ્રેસ બોલે છે. આ વાત પહેલા કોણે કહી, પહેલા મુખ્યમંત્રીએ કહી, તે પછી ભાજપ પ્રદેશ પ્રમુખે કહી. ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય, તેમના જ મહિલા આગેવાન ભ્રષ્ટાચારની પોલ ખોલે, કહે વિકાસ નેતાનો થયો છે. તેમના ધારાસભ્ય રાજીનામું આપે, પછી ડેમેજ કંટ્રોલ થઇ જાય.

રૂત્વિજ પોલીસને રીકવેસ્ટ છે, મુખ્યમંત્રીએ કહ્યું કેટલાક શુભચિંતકોને મારા પ્રત્યે પ્રેમ છે, તેઓ મારા નામની સંડોવણી કરવાનો પ્રયાસ કરે છે. હરણી બોટ કાંડમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો, પાલિકાના પાપે આ થયું ત્યારે ભાજપનો એક પણ નેતા હોળી બોટકાંડમાં ન્યાયની વાત ન કરે, ત્યારે કોંગ્રેસે સહિ ઝુંબેશનો કાર્યક્રમ કર્યો. નોટીસના તપાસ માત્ર કલમનો ઉલ્લેખ છે, તેમાં કઈ ઘટના બાબતે જવાબ લખાવવા આવવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વધુમાં રૂત્વિજ જોશી જણાવે છે કે, જ્યારે કોંગી આગેવાનોની ધરપકડ થઇ ત્યારે હું હાજર હતો. ત્યારે મને કેમ નોટીસ પાઠવવામાં ન આવી? અમે મહાત્મા ગાંધીના સિપાહી છીએ. લોકશાહી ઢબે લડવા માંગીએ છીએ. સોફ્ટ ટારગેટ રૂત્વિજ જોશી છે.


Google NewsGoogle News