વડતાલ, પાવાગઢમાં સાત જેટલી ચોરી કરનાર બે મહિલા ઝડપાઇ
વડતાલ પોલીસે અઢી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ધાર્મિક સ્થળોએ લોકોના દાગીના ચાલાકીપૂર્વક ચોરી લેતી હતી
નડિયાદ: વડતાલ પોલીસે બે શકમંદ મહિલાઓ પાસેથી રૂ. ૨,૪૯,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મહિલા તસ્કરોએ વડતાલ તેમજ પાવગઢ મંદિર ખાતે સાત જેટલી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
વડતાલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન મળેલ બાતમી આધારે બે શકમંદ મહિલાઓને અટક કરી પુછપરછ કરતા સાત જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ બંને મહિલાઓની તલાસી લેતાં રોકડ રૂ. ૧૮,૫૦૦ અને સોનાની બે રણી મળી કુલ રૂ. ૨,૪૯,૫૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
વડતાલ પોલીસે બંને મહિલાની પુછપરછ હાથ ધરતા પોતાનું નામ રમીલાબેન નરેશભાઇ ભીલ (રહે. નડિયાદ, કનિપુરા) અને કોકીલાબેન સતિષભાઈ વસાવા (રહે. વડોદરા, મધુનગર) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને મહિલાની સખ્તાઇથી પૂછપરછ કરતાં આરોપી રમીલાબેન ભીલે અગાઉ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તેમજ પાવાગઢ ખાતે યાત્રિકોએ પહેરેલ દાગીના સહિત વિવિધ ગુનાઓ મળી કુલ સાત ચોરીના ગુના કર્યા હોવાની કબુલાત કરી હતી. વડતાલ પોલીસે આ બંને મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.