દુમાડ ચોકડી તથા જેતલપુર બ્રિજ નજીક વાહનની ટક્કરે બે વ્યક્તિના મોત

સુશેન તરસાલી રોડ પર મોપેડ પર જતા બિઝનેસમેનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
દુમાડ ચોકડી તથા જેતલપુર બ્રિજ નજીક વાહનની ટક્કરે બે વ્યક્તિના મોત 1 - image

વડોદરા,દુમાડ ચોકડી તથા જેતલપુર બ્રિજ ગરનાળા પાસેથી ચાલતા જતા બે વ્યક્તિઓને અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા મોપેડ સવાર બિઝનેસમેનનું મોત થયું છે.

સમા લિલેરીયા પાર્ટી પ્લોટ નજીક ભાલીયા તળાવ નજીક રહેતા ૫૦ વર્ષના નાનસિંગ રામસિંગભાઇ નાયક ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે દુમાડ ચોકડી ધારા પેટ્રોલપંપ નજીકથી ચાલતા જતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે સમા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે. 

અન્ય એક બનાવમાં ૪૨ વર્ષના શ્રમજીવી જયેશભાઇ મોહનભાઇ પઢિયાર આજે સવારે જેતલપુર બ્રિજ ગરનાળા પાસેથી સયાજીગંજ તરફ ચાલતા જતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થતા સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, સુશેન તરસાલી રોડ એસ્સાર પેટ્રોલપંપની પાછળ દર્શન  પાર્ક સોસાયટીમાં રહેતા રણજીતસિંગ ગિલ ગત તા.૧૭ મી એ પેટ્રોલ પંપના લાયસન્સ માટે ભાઇલાલ પાર્ક સોસાયટીમાં આવ્યા હતા. લાયસન્સનું કામ પતાવીને તેઓ ઇલેકિટ્રક મોપેડ લઇને સાડા ચાર વાગ્યે ઘરે જતા હતા. તે દરમિયાન સુશેન તરફથી પૂરઝડપે આવેલા એક બાઇક ચાલકે તેમના મોપેડને પાછળથી ટક્કર મારતા તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત પછી બાઇક ચાલક ફરાર થઇ  ગયો હતો. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત રણજીતસિંગનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News