ગાંધીનગરના ગ્રામ્યવિસ્તારમાંથી કોલેરાના વધુ બે દર્દી મળી આવ્યાં

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ગાંધીનગરના ગ્રામ્યવિસ્તારમાંથી કોલેરાના વધુ બે દર્દી મળી આવ્યાં 1 - image


પાણીજન્ય રોગના કેસ ચિંતાજનરીતે વધ્યા

ગાંધીનગર તાલુકાના સોનીપુર અને કલોલના ઓળામાં એક-એક કેસ : બહારનો ખોરાક ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ

ગાંધીનગર :  આ વખતે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોલેરાના કેસમાં ચિંતાજનરીતે વધારો થયો છે તેમાં પણ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં છુટાછવાયા કેસ જે રીતે પ્રકાશમાં આવી રહ્યા છે તેને લઇને આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. તેવી સ્થિતિ વચ્ચે ગાંધીનગર તાલુકાના સોનીપુર અને કલોલ તાલુકાના ઓળા ગામમાંથી એક-એક કેસ મળી આવ્યા છે. જેના પગલે આરોગ્ય તંત્રએ સર્વેલન્સ સહિતની કામગીરી કરાવી છે પરંતુ આ બન્ને દર્દીઓએ બહારનો વાસી ખોરાક ખાધા બાદ તેમને ઝાડા ઉલ્ટીની અસર થઇ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં ઉનાળા દરમ્યાન અને ત્યાર બાદ પણ કોલેરાના કેસ ખાસ મળી આવ્યા છે. ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં પણ કોલેરાએ માથું ઉચક્યું હતું. પાટનગરના પેથાપુર, વાવોલ, સે-૨૦,સે-૧૩ ઉપરાંત કલોલ-દહેગામના ગ્રામ્યવિસ્તારમાં કોલેરાના કેસ વધુ જોવા મળ્યા છે. ગામોમાં પાણી લીકેજ થવાને કારણે ગામમાંથી છુટાછવાયા કોલેરાના કેસ સામે આવ્યા છે. જો કે, સમયસર સઘન સારવાર મળી રહેવાને કારણે આ વખતે કોલેરાનો આ રોગચાળો જીવલેણ સાબીત થયો નથી. આવી સ્થિતિ વચ્ચે ગાંધીનગર જિલ્લામાંથી કોલેરાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ગાંધીનગર તાલુકાના સોનીપુરમાં રહેતા ૩૫ વર્ષિય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ અંગે આ દર્દી પાસેથી મળેલી માહિતી પ્રમાણે, દર્દી સોમવારે મીનાવાડા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખથે મંગળવારે બહારનું ભોજન કર્યું હતું ત્યાર બાદ તેમને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. જેથી તેમને રૃપાલમાંથી દવા લીધા બાદ દર્દીને ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.તો બીજીબાજુ કલોલના ઓળા ગામમાં મજુરી કામ કરતા ૨૦ વર્ષિય યુવાન કે જે ગામથી દૂર ખેતરોમાં રહે છે અને ત્યાં બોરનું પાણી જ પીવે છે તેને પણ બહારનો ખોરાક ખાધા બાદ ઝાડા ઉલ્ટી થઇ ગયા હતા જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. 


Google NewsGoogle News