નડિયાદ તાલુકામાં વાહન પલટી જવાની બે ઘટના : એક વ્યક્તિનું મોત, પાંચને ઈજા
દંતાલી સીમના વળાંકે રિક્ષા પલટી ગઈ
નડિયાદ રિંગ રોડ પર ટ્રકમાંથી છૂટું પડી કેમિકલ ભરેલું ટેન્કર પડતા બે ટેમ્પીનો ભૂક્કો થઈ ગયો
નડિયાદ: નડિયાદ બિલોદરા રિંગ રોડ પર બે ટેમ્પીઓ ઉપર ટેન્કર પલટી ખાતા ત્રણ જણાંને ઇજા થઈ હતી. જે પૈકી એક ટેમ્પી ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે દંતાલી વળાંક ઉપર રીક્ષા પલટી ખાઈ જતા ત્રણ મુસાફરોને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
નડિયાદ નજીકથી બિલોદરા રિંગ રોડ પસાર થાય છે. આ રીંગ રોડ ઉપર બુધવારે રાત્રિના ૮ વાગ્યાના સુમારે આલ્ફા સ્કૂલ નજીક પુરઝડપે પસાર થતી કેમિકલ ભરેલું ટેન્કર ટ્રકમાંથી છૂટું પડી રોડ પર પલટી ગયું હતું. આ ટેન્કર રોડ ઉપરથી પસાર થતી બે રીક્ષા ટેમ્પી પર પડતા બંને વાહનોનો ભુક્કો થઈ ગયો હતો.
આ અકસ્માત સર્જાતા ટેમ્પીમાં બેઠેલા ભરતભાઈ સોમાભાઈ ઝાલા (રહે. નવા બિલોદરા) તેમજ બીજી ટેમ્પીમાં ભલાભાઇ રામાભાઇ ચૌહાણ તેમજ સંજય લક્ષ્મણભાઈ તળપદા (બંને રહે. શંકરપુરા સલુણ)ને ટેમ્પીમાં ફસાઈ જતા ગંભીર ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ફસાઈ ગયેલાઓને બહાર કાઢી તુરંત જ ૧૦૮ મારફત સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભરતભાઈ સોમાભાઈ ઝાલાને મૃત જાહેર કર્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રમેશભાઈ સોમાભાઈ ઝાલાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં દાવડા ચોકડી પરથી મુસાફરો ભરીને રીક્ષા બામરોલી તરફ જતી હતી, ત્યારે દંતાલી સીમ ભુપત તલાવડી વળાંક ઉપર ટનગ લેતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.
જેથી રિક્ષામાં બેઠેલા પરેશભાઈ રામાભાઈ સોલંકી, સંજયભાઈ આશાભાઈ તેમજ રંજનબેન રાયસંગભાઈ સોલંકી (તમામ રહે.બામરોલી)ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પરેશભાઈ રામાભાઈ સોલંકીની ફરિયાદ આધારે વસો પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.