કોટણા મહીસાગર નદીમાં નાહવા ગયેલા બે મિત્રોના ડૂબી જવાથી મોત

પાંચ મિત્રો નાહવા નદીમાં ગયા અને તણાયા : ત્રણ મિત્રોનો બચાવ

Updated: May 12th, 2024


Google NewsGoogle News

 કોટણા મહીસાગર નદીમાં નાહવા ગયેલા બે મિત્રોના ડૂબી જવાથી મોત 1 - imageવડોદરા,શહેર નજીક સિંઘરોટ કોટણા મહીસાગર નદીમાં  નાહવા ગયેલા પાંચ યુવકો ઉંડા પાણીમાં જતા રહેતા ડૂબવા લાગ્યા હતા. જે પૈકી ત્રણ મિત્રો બહાર નીકળી ગયા હતા. જ્યારે અન્ય બે મિત્રો ડૂબી જતા તેઓના મોત થયા હતા. એક જ સોસાયટીના બે યુવકો ડૂબી જતા વિસ્તારમાં શોક ફેલાઇ ગયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તાંદલજાની ઇબ્રાહિમ પાર્ક સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષનો સોયેબ ઇરફાનભાઇ  પઠાણ તથા ૧૮ વર્ષનો જેનુલ જેનુલ જાકીરભાઇ પટેલ તેઓના અન્ય ત્રણ મિત્રો સાથે સિંઘરોટ નજીક કોટણા મહીસાગર નદીમાં આજે રવિવારની રજા હોવાથી નાહવા માટે ગયા હતા. બપોરે ચાર વાગ્યે તેઓ નદીમાં નાહતા હતા. તે સમયે અચાનક તેઓ પાણીમાં અંદર જતા રહેતા વહેણમાં તણાવા લાગ્યા હતા. પાંચ પૈકી ત્રણ મિત્રો પાણીમાંથી બહાર આવવવામાં સફળ રહ્યા હતા. તેઓને એવું લાગ્યું હતું કે, તેમના અન્ય બે મિત્રો પણ બહાર આવી ગયા હશે. પરંતુ, જેનુલ અને સોયેબને નહીં જોતા તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી, સ્થાનિક તરવૈયાઓએ નદીના પાણીમાં જઇને તપાસ કરતા જેનુલ અને સોયેબના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ  બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવતા નંદેસરી પોલીસે ઘટના સ્થળે  પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંનેના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. 


લાંછનપુરાની જેમ કોટણામાં  પણ પ્રતિબંધ લગાવવો જોઇએ

 વડોદરા,કોટણા નજીકથી પસાલ થતી મહિસાગર નદીમાં અવાર - નવાર ડૂબી જવાના બનાવો બને છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તેમછતાંય તંત્ર દ્વારા આ સ્થળે નાહવા પર કોઇ પ્રતિબંધ ફરમાવવામાં આવતો નથી. સાવલીના લાંછનપુરા ગામે ડૂબી જવાના બનાવો બનતા  હોવાથી ત્યાં નાહવા  પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોટણા નદીમાં પણ પ્રતિબંધ લગાવવામાં આવે તો આવી દુર્ઘટના ઘટે નહીં.



એક યુવક આઇ.ટી.આઇ.માં અને બીજાએ ધો. ૧૨ પાસ કર્યુ

 વડોદરા,પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જેનુલે હાલમાં જ ધો.૧૨ પાસ કર્યુ છે. જ્યારે સોયેબ આઇ.ટી.આઇ.માં ભણતો હતો. આજે રવિવારની રજા હોવાથી તેઓ અન્ય મિત્રો સાથે કોટણા મહિસાગર નદીમાં નાહવા ગયા હતા.


રેતી માફિયાઓ દ્વારા નદીના  પટમાં જ મોટા ખાડા કરાયા છે

વડોદરા,સ્થાનિક રહીશો દ્વારા મળતી માહિતી મુજબ, ખનિજ માફિયાઓ દ્વારા મહીસાગર નદીના પટમાં જ ખનન  કરવામાં આવે છે. જેના કારણે નદીના  પટમાં જ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે નદીમાં અંદર સુધી નહીં પણ નજીકમાં જ નાહતા લોકોના જીવ સામે જોખમ ઉભું થાય છે. ગેરકાયેદ થતી ખનનની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઇએ.તેવી લોકોની માંગણી છે.


Google NewsGoogle News