માતા પિતાને અંધારામાં રાખી લગ્ન કરનાર શિક્ષિકા પર ત્રાસ
બાઇક ખરીદવા પિયરમાંથી એક લાખ લઇ આવવા દબાણ
વડોદરા.માતા પિતાને અંધારામાં રાખી લગ્ન કરનાર શિક્ષિકા પર ત્રાસ ગુજારતા પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી રોડ પર રહેતી પરણીતા એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ટ્રસ્ટની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. મેં એમએસસી બી.એડ.નો અભ્યાસ કર્યો છે. વર્ષ ૨૦૧૮માં હું એમએસ યુનિવસટીમાં અભ્યાસ કરતી હતી. તે વખતે યશ પરેશભાઈ પંડયા નવરાત્રિમાં મને મળ્યા હતા. અને મારી સાથે મિત્રતા થઈ હતી. અમે એકબીજાના પરિચયમાં આવ્યા પછી ફોન પર વાતચીત કરતા હતા . અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જે લગ્નની વાત મેં મારા ઘરે કરી નહતી. તા.૧૮ -૧૦ -૨૦૧૯ ના રોજ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે મારા તથા યશ પંડયાના લગ્ન થયા હતા.જે લગ્નમાં યશ ના માતા પિતા હાજર હતા. મારા પક્ષ તરફથી કોઈ હાજર નહતું. લગ્ન પછી હું મારા પતિ અને સાસુ સસરા સાથે ગોત્રી પાણીની ટાંકી સામે શિવાલય હાઈટમાં રહેવા માટે ગઈ હતી. અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા મારા નણંદ દેવાંશી પંડયા દુબઈથી નવેમ્બર ૨૦૧૯ માં પરત આવી અમારી સાથે રહેવા લાગ્યા હતા. મારા નણંદને આ લગ્ન પસંદ ન હોવાથી તેઓ નાની-નાની બાબતોમાં તેમજ જમવા બાબતે મારી સાથે ઝઘડો કરતા હતા. તેમનું ઉપરાણું લઇ મારા પતિ તથા સાસુ, સસરા પણ મારી સાથે અસભ્ય વર્તન કરતા હતા. મારા નણંદ દુબઈ ગયા પછી પણ મારા પતિ અને સાસુ-સસરાને કાન ભંભેરણી કરતા હતા. મારા પતિને બાઈક લેવાનું હોવાથી તેમણે મારા પિતા પાસેથી એક લાખ દહેજ પેટે લઈ આવવા માટે કહ્યું હતું. ત્યારે મેં તેઓને જણાવ્યું હતું કે મેં મારા માતા-પિતાના વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા છે હું તમને કઈ રીતે કહી શકું ત્યારે મારા પતિએ મારી સાથે ઝઘડો કર્યો હતો મારા સસરાએ કપડાં ધોવાના પાયા વડે મને બરડાના ભાગે માર માર્યો હતો. ઓગસ્ટ ૨૦૨૩ માં તેઓ મારી ગેરહાજરીમાં મકાનને લોક મારીને જતા રહેતા હું મારા માતા-પિતાના ઘરે આવી ગઈ હતી.