પત્ની, સાસુ, સસરા, સાળી અને સાઢુભાઇના ત્રાસથી કંટાળીને યુવાનનો આપઘાત
શરૃઆતમાં પરિણીતાએ સસરાને કહ્યું કે, અંશુલકુમારને ઝાડા ઉલટી થતા સારવાર માટે દાખલ કરાયા છે
વડોદરા,પત્ની, સાસુ,સસરા, સાળી અને સાઢુભાઇના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કરી લીધો હતો. અંતિમ ક્રિયા પછી પતિના પિતાએ પુત્રના સાસરિયાઓ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંજાબના મોહાલી ખાતે રહેતા હરિરામ શ્રીબનવારીલાલ વાલ્મિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા દીકરા અંશુલકુમાર સિંઘના લગ્ન જુલાઇ - ૨૦૧૬માં પૂનમ જગદીશભાઇ લિંબાચીયા (રહે. ઘનશ્યામ નગર, લીંકરોડ,ભરૃચ) સાથે થયા હતા. મારો દીકરો તેની પત્ની અને દીકરી સાથે વડોદરામાં સૂર્ય દર્શન ટાઉનશિપની પાછળ મેપલ એવન્યુમાં રહેતો હતો અને શેર ટ્રેડિંગની કંપનીમાં નોકરી કરતો હતો.
ગત તા.૨૬મી એ રાતે પોણા બાર વાગ્યે મારા દીકરા અંશુલકુમારની પત્ની પૂનમે મને કોલ કરીને જણાવ્યું હતું કે, અંશુલની તબિયત ખરાબ થઇ ગઇ છે. તેને ઝાડા ઉલટી થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. પરંતુ, અમે ત્યાં ગયા તે પહેલા તેનું મૃત્યુ થઇ ગયું હતું.
ત્યારબાદ બીજા દિવસે અમે સયાજી હોસ્પિટલમાં ગયા હતા અને અંશુલના મૃતદેહનું પી.એમ. કરાવ્યું હતું. ત્યારબાદ અમને ડેડબોડી સોંપતા અમે અંતિમ ક્રિયા માટે દિલ્હી લઇ ગયા હતા. મારા દીકરાએ મને મેલ કરેલો તેમાં ૨૭ ડિસેમ્બર ૨૦૨૩ તથા ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ વાળા પેજમાં ઇન્સ્યોરન્સને લગતી માહિતી લખી છે. પાંચમાં ૧૯ જાન્યુઆરી - ૨૦૨૩ વાળા પેજમાં અને છઠ્ઠા ર૦ જાન્યુઆરી - ૨૦૨૩ વાળા પેજમાં પુત્રી અને પત્ની માટે લખ્યું છે. આ ઉપરાંત એપ્રિલ - ૨૦૨૩માં મારા દીકરાની સાસરીવાળા વિશે વિગતો લખી હતી.મારા દીકરાની પત્ની, સાસુ,સસરા, સાળી મીરાબેન અને સાઢુભાઇ વિશે લખ્યું છે. તેઓએ મારા દીકરાને અવાર - નવાર હેરાન પરેશાન કરી મારા દીકરાને તેની દીકરી સાથે મળવા દેતા નહતા. તેમજ મારા દીકરાને અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાના ખોટા આક્ષેપો કરી માનસિક ત્રાસ આપતા હોવાની વિગતો મારા દીકરાએ મારી પત્નીને જણાવી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે એસીપી પ્રણવ કટારિયાએ વધુ તપાસ હાથ ધરી છે.
ડોક્ટરે કહ્યું કે, બ્લડ પ્રેશર લો થા, પલ્સ કમ થે, હમ ઉસકો બચા નહીં શકે
વડોદરા,ત્યારબાદ પૂનમના પિતા જગદીશભાઇએ મને કહ્યું હતું કે, અંશુલકુમારે કોઇ ઝેરી દવા ખાઇ લેતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમે અહીંયા આવી જાવ. જેથી, હું, મારી પત્ની અને પુત્રી સાથે હવાઇ માર્ગે વડોદરા આવવા નીકળ્યા હતા. રસ્તામાં મારા દીકરાના સાઢુ ભાઇએ કોલ કરીને ડોક્ટર સાથે વાત કરાવી હતી. ડોક્ટરે કહ્યું કે, અંશુલકુમાર કો હોસ્પિટલમેં લાયા ગયા તબ ઉસકા બ્લડ પ્રેશર બહોત લો થા. ઔર પલ્સ ભી કમ થા. ઉસકો બચા નહી શકે.
મેરી મોત કે જીમ્મેદાર મેરી સાસ, સસુર, મેરી સાલી ઔર ઉનકે હસબન્ડ
વડોદરા,દીકરો ગુમાવનાર પિતાએ જણાવ્યું છે કે, મારા દીકરાના મેલ પરથી મને એક મેલ તા.૨૬મી એ રાતે ૧૧ઃ ૫૬ કલાકે આવ્યો હતો. મારા દીકરાએ વર્ષ - ૨૦૨૩ના કેલેન્ડર દર્શાવતા ડાયરીના લાઇનિંગવાળા પેજમાં ૨૫ ડિસેમ્બર - ૨૦૨૩ વાળા પેજમાં ૨૨ - ૦૭ - ૨૦૨૩ ની તારીખ લખી છેલ્લા પેરેગ્રાફમાં અંગ્રેજીમાં લખ્યું હતું કે, અબ મેં નહીં મિલુંગા કભી કિસીકો ભી. મેરી મોત કે જીમ્મેદાર મેરી સાસ, સસુર, મેરી સાલી ઔર ઉનકે હસબન્ડ, સાથ હી સાથ મેરી સાલીઓકે સસુરાલવાલે હે. જીનહોને મુજે એસા કરને કો મજબૂર કીયા. ત્યારબાદ તેણે નીચે બે સહીઓ કરી છે.