નડિયાદમાં હોસ્પિટલ અને મંદિર પાસેથી ત્રણ વાહનો ચોરાયા
શહેરમાં વાહન ચોરીના બનાવો વધ્યા
રિક્ષા, બાઈક અને એક્ટિવા ચોરાયા અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ
નડિયાદ: નડિયાદ શહેરમાં વાહન ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોમાં ચિંતા વ્યાપી છે. નડિયાદ સંતરામ આંખની હોસ્પિટલ આગળથી રીક્ષા, જ્યારે એન.ડી. દેસાઈ હોસ્પિટલ આગળથી મોટર સાયકલ કોઈ વાહન ચોર ચોરી ગયો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે
મહેમદાવાદ તાલુકાના પથાવત બાર મુવાડામાં રહેતા જશવંતભાઈ નટવરભાઈ બારૈયા તા.૨૩/૭/૨૪ના રોજ સરખેજના દર્દીનું આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી રીક્ષા લઈને નડિયાદ સંતરામ હોસ્પિટલ આવ્યા હતા. દરમિયાન હોસ્પિટલના ગેટ આગળ પાર્ક કરેલી રીક્ષા કિંમત રૂ. ત્રણ લાખની કોઈ ચોરી ગયો હતો. જ્યારે બીજા બનાવમાં નડિયાદ મંજીપુરામાં રહેતા જયંતીભાઈ કનુભાઈ તા.૨૦/૭/૨૪ના રોજ મોટરસાયકલ લઈને એન. ડી.દેસાઈ હોસ્પિટલમાં પિતાનું ટિફિન આપવા ગયા હતા. દરમિયાન હોસ્પિટલની ફૂટપાથ પર પાર્ક મોટરસાયકલ કિંમત રૂ.૨૦,૦૦૦નું કોઈ ચોરી ગયો હતો. જ્યારે ત્રીજા બનાવમાં નડિયાદ સંતરામ એપાર્ટમેન્ટમાં રહેતા દર્શનભાઈ રાજુભાઈ સોની તા.૧૮/૭/૨૪ના રોજ એકટીવા લઈ સંતરામ મંદિર સામે આવેલ કિરાના સ્ટોરમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે દુકાન આગળ મુકેલ એકટીવા રૂ.૨૫,૦૦૦નું કોઈ ઉઠાવી ગયું હતું. આ ત્રણેય વાહન ચોરીના બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.