સ્ટેશન નજીક લા્રીવાળાને ઢસડી જનાર PCR વાનના ત્રણ પોલીસ કર્મીની હત્યાના પ્રયાસ બદલ ધરપકડ

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
સ્ટેશન નજીક લા્રીવાળાને ઢસડી જનાર PCR વાનના ત્રણ પોલીસ કર્મીની હત્યાના પ્રયાસ બદલ ધરપકડ 1 - image

વડોદરાઃ વડોદરા રેલવે સ્ટેશન નજીક રાતે બે વાગે લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારીવાળાને વાન સાથે ૧૦૦ મીટર સુધી બેરહેમી પૂર્વક ઢસડી જવાના બનાવમાં સયાજીગંજ પોલીસે ત્રણેય પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી તેમની ધરપકડ કરી છે.

સયાજીગંજમાં કાલુમીયાની ચાલમાં રહેતા મૂળ  બિહારના વતની મો.ફૈઝાન શેખ  પ્લેટફોર્મ નંબર-૭ની  બહાર પીડબલ્યુડીની દિવાલ પાસે રાતે બે વાગે આમલેટની લારી ચલાવતો હોવાથી લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસની પીસીઆર વાનના કર્મચારીઓ સાથે તકરાર થઇ હતી.જે દરમિયાન બંને પક્ષે ઝપાઝપી થતાં સામસામે ફરિયાદ નોંધાઇ હતી.

આ બનાવમાં ફૈઝાનને પોલીસ વાન ૧૦૦ મીટરથી વધુ અંતર સુધી ઢસડી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.જ્યારે, ફૈઝાનની સામે પણ પોલીસની સરકારી કામગીરીમાં રૃકાવટ કરી હુમલો કરવા બદલ ગુનો નોંધાયો છે.પોલીસને હજી સીસીટીવી ફૂટેજ મળ્યા નથી.પરંતુ સાક્ષીઓની  પૂછપરછ દરમિયાન બનાવને સમર્થન મળ્યું છે.

એસીપી ડી જે ચાવડાએ કહ્યું છે કે,આ બનાવ સંદર્ભે ત્રણેય પોલીસ કર્મીની સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.પકડાયેલાઓમાં (૧) મોહંમદ મુબશશિર મોહંમદ સલીમ(એલઆરડી)(૨) રઘુવીર ભરતભાઇ(એલઆરડી) અને (૩) કિશન નટવરભાઇ પરમાર(કોન્ટ્રાક્ટનો ડ્રાઇવર)(રહે.ભવ્યમ હોમ્સ,પાણીની ટાંકી પાસે,અટલાદરા)નો સમાવેશ થાય છે.

રેલવે સ્ટેશન વિસ્તારમાં લારીવાળા સાથે બનેલા બનાવ બાદ

તમામ PCR વાનમાં બોડીવોર્ન કેમેરા રાખવા કમિશનરનો આદેશ

પીસીઆરમાં પુરતો સ્ટાફ રાખવો,લારી ગલ્લા ધારકો સાથે મીટિંગો કરવા પો.કમિ.ની સૂચના

વડોદરાઃ રેલવે સ્ટેશન વિસ્તારમાં રાતે બે વાગે આમલેટની લારી ચાલુ રાખનાર મો.ફૈઝાનને માર મારી પોલીસ વાન સાથે ઢસડી જવાના બનેલા બનાવ બાદ પોલીસ કમિશનરે તમામ પીસીઆર વાનમાં બોડીવોર્ન કેમેરા સાથે એક કર્મી  હાજર રાખવા આદેશ આપ્યો છે.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શ્રમજીવી યુવકને વાન સાથે ઢસડી જવાના બનાવની ગંભીર નોંધ લઇ પીસીઆર વાનમાં પુરતો સ્ટાફ રાખવા ડીસીપી અને એસીપીને જાણ કરી છે.આ ઉપરાંત દરેક વાનમાં કેમેરાની વ્યવસ્થા રાખવા પણ તાકિદ કરી છે.

તેમણે આ પ્રકારના બનાવો ફરી ના બને તે માટે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારો હેઠળના લારી-ગલ્લા ધારકો સાથે મીટિંગ કરી સંકલન કરવા સૂચના આપી છે.

પોલીસની ભૂમિકાની તપાસ ડીસીપી કરશે,ફોરેન્સિકની મદદ લેવાશે

લારીવાળા મો.ફૈઝાનને પોલીસવાન સાથે ઢસડી જવાતાં ગંભીર ઇજાઓ પહોંચવાના બનાવમાં પોલીસની ભૂમિકાની તપાસ માટે શહેર પોલીસ કમિશનરે ડીસીપી ઝોન-૧ જૂલી કોઠિયાને તપાસ સોંપી છે. પોલીસ દ્વારા આ બનાવની તપાસમાં તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે તેમજ ફોરેન્સિક નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવનાર છે.


Google NewsGoogle News