બકરાવાડીમાં યુવાનને મારવાના ગુનામાં ત્રણ પકડાયા
આરોપીઓને હાજર કરાવ્યા તેવી શંકા રાખી હુમલો : ૧૩ હુમલાખોરો સામે ગુનો
વડોદરા, બકરાવાડી વિસ્તારમાં રહેતા કેટલાંક શખ્સો ગાજરાવાડીમાંથી એક યુવાનને મારીને ઉઠાવી ગયા હતા અને બકરાવાડીમાં લઇ જઇ જાહેરમાં ઢોર માર માર્યો હતો. જે ગુનામાં વાડી પોલીસે ત્રણને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાજરાવાડી વિસ્તારમાં વોર્ડ નંબર-૩ની ઓફિસ પાછળ પહેલા ફળિયામાં રહેતો ક્રિષ્ણા ઉર્ફે બટકો રમણલાલ ચૌહાણ ઘર પાસેના બાકડા પર એકલો બેઠો હતો ત્યારે કેટલાંક શખ્સો એક્ટિવા પર આવ્યા હતા અને તે પૈકી વિક્રમ નામના શખ્સે નામ પૂછતાં ક્રિષ્ણા કહેતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને માર માર્યો હતો બાદમાં જબરજસ્તી એક્ટિવા પર બેસાડીને બકરાવાડી સાંઇબાબા મંદિરવાળી ગલીમાં લઇ જઇ ત્યાં ફરી ઘેરીને માર માર્યો હતો.
આ ગુનામાં સામેલ (૧) રાજ ચંદ્રકાંતભાઇ પરમાર ( રહે. ૧૮ ક્વાટર્સ, વિજય સોસાયટી સામે, વડોદરા) તથા (૨) સિદ્ધાર્થ વિક્રમભાઇ પરમાર ( રહે. છોટાભાઇ ટેરેસ, ડભોઇયા પોલીસ ચોકી સામે) તથા ૧૭ વર્ષનો કિશોર કોર્ટમાં સરન્ડર થતા પોલીસે તેઓનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.