મસાણિયા મહારાજના મંદિરમાં વ્યક્તિને પ્રવેશવા નહીં દઈ ધમકી આપી
મહુધા તાલુકાના અલીણા ગામની ઘટના
જ્ઞાતિવાચક અપશબ્દો બોલી ધમકી આપનાર છ શખ્સો સામે ફરિયાદ દાખલ
નડિયાદ: મહુધા તાલુકાના અલીણા ગામે આવેલા મસાણિયા મહારાજના મંદિરે દર્શન કરવા ગયેલા આધેડને મંદિરમાં દર્શન કરવા જતાં રોકીને તેમને જ્ઞાાતિવાચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ૬ શખ્સો સામે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અલીણા ગામે સરદારપુરામાં રહેતા ભરતભાઈ રાવજીભાઈ વાઘેલા ગત તા.૨૨ ઓક્ટોબરના રોજ તેમની વડીલોપાજત જમીનમાં આવેલા વર્ષો જૂના મસાણિયા મહારાજ (સિધ્ધ મહારાજ)ના મંદિરે નવરાત્રિની આઠમ હોવાથી દર્શન કરવા માટે ગયા હતા. આ સમયે ગામના અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ ભોજાણી (ભુવાજી) મંદિરે હાજર હતા.
મંદિરમાં અન્ય દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા હતા, તે સમયે ભરતભાઈ મંદિરમાં જતા અમરસિંહે તેમને અટકાવ્યા હતા અને મંદિરમાં જવાની ના પાડી હતી. આ સમયે ત્યાં હાજર ગામના અન્ય દર્શનાર્થીઓ પણ ઉશ્કેરાઈ ગયા હતા અને તકરાર કરીને ભરતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાાતિવાચક અપશબ્દો કહીને ધમકીઓ આપી હતી.
જેથી ભરતભાઈ જે-તે સમયે ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનાની જાણ તેઓએ તેમના પિતા અને પરિવારજનોને કરી હતી. દત્તભાઈની વડીલોપાર્જિત જમીનમાં જ આવેલા મંદિરમાં તેમને દર્શન કરવા ન જવા દેતા આ મામલે મહુધા પોલીસ મથકે અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ ભોજાણી, લક્ષ્મણભાઈ લાખાભાઈ ભોજાણી, અરવિંદભાઈ શનાભાઇ ભોજાણી, પર્વતભાઈ રામાભાઇ ભોજાણી, નટવરભાઈ વજાભાઈ ભોજાણી તથા ફતાભાઇ બચુભાઈ ભોજાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.