ગળતેશ્વરના વાડદમાં રોગચાળો વધુ વકર્યો : કુલ 70 રહીશોને ઝાડા ઉલટી
- ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી ગયાની જાણ થવા છતાં તંત્રએ ઢીલ દાખવી હતી
નડિયાદ,તા.28 મે 2019, મંગળવાર
ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે ફાટી નિકળેલ રોગચાળામાં દર્દીઓની સંખ્યામાં આજે વધારો નોંધાયા છે. અત્યાર સુધી આશરે ૭૦ વ્યક્તિઓ ઝઆડા ઉલ્ટીમાં સપડાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
જો કે વાળદ ગામે ગતરોજ ઝાડા ઉલ્ટીની બિમારીને કારણે એક શ્રમજીવીનું મોત નિપજ્યા બાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વાડદ ગામે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘેર ઘેર ક્લોરીન અને પાણી ટેન્કર દ્વારા પાણી આપવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ.
ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે ગટરનુ પાણી પીવાની પાઇપ લાઇનમાં મિશ્ર થવાને કારણે આશરે ૭૦ વ્યક્તિઓને અસર થઇ હતી.દસ દિવસ સુધી તંત્ર દ્વારા રહીશોની રજૂઆતોને અવગણતા ગામમાં આ ગંભીર રોગચાળો ફેલાયો હતો. જો કે એકસામટા ૫૦થી વધુ દર્દીઓ ઝાડા ઉલ્ટીના ભોગ બનતા અને એક વ્યક્તિનું મોત નિપજતા તંત્ર હરકતમાં આવી ગયું હતું.
તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાઉન્ડ ધી ક્લોક વાડદ ગામમાં કાર્યરત કરી દીધી હતી.
આજરોજ આ બનાવને પગલે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી વાડદ ગામે દોડી આવ્યા હતા અનેે સમગ્ર પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો.ઉપરાંત અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ગામને એક લાખ રૂપિયાની ગ્રાન્ટની સહાય કરવાની જાહેરાત કરી હતી.પાણીની પાઇપ લાઇનો જ્યાં થી સપ્લાય થાય છે તે પાઇપો નવી નાખવાની સુચના આપી હતી.ગામની ખુલ્લી ગટરોમાં પડેલા પંકચરોની પણ તપાસ કરી હતી.
ઉપરાંત વાડદ ખાતે આવેલ પ્રા.આરોગ્ય સબ સેન્ટરમાં દર્દીઓની મુલાકાત લીધી હતી.આ મુલાકાત સમયે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર, ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારી, ગળતેશ્વર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વાંધરોલી પ્રા. આ. કેન્દ્રના ડૉ , સેવાલીયા પ્રા. આ. કેન્દ્રના ડૉ, વાડદના સરપંચ, તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે ફાટી નિકળેલ રોગચાળા અંગે આરોગ્ય અધિકારી સતિષ સુથારીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ૧૮ કેસો નવા નોંધાયા છે.
તેમાંથી મોટાભાગના દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી રહી છે.હાલ વાડદ ગામમાં રોગચાળો નિયંત્રણમાં છે.પીવાનુ પાણી પાઇપ લાઇનની જગ્યાએ પાણીના ટેન્કરથી આપવામાં આવી રહ્યું છે.