માંજલપુરમાં રહેતા એનઆરઆઇના બંધ મકાનમાં ચોરી
દાગીના ના મળ્યા તો ઘંટી, ફ્રિઝ, ટીવી, વોશિંગ મશીન લઇ જતા ચોર
વડોદરા,માંજલપુરમાં રહેતા એનઆરઆઇના મકાનમાં દાગીના અને રોકડા ના મળ્યા તો ચોર ટોળકી ફ્રિઝ, ઘરઘંટી, પાણીની મોટર, વોશિંગ મશીન અને ટીવી ચોરી ગયા હતા.
માંજલપુર દરબાર ચોકડી પાસે ગજાનંદ હાઇટ્સમાં રહેતા મનિષ પરસોત્તમભાઇ ઉપાધ્યાય ડ્રાઇવિંગ કરે છે.તેમના ફોઇ ડો.કમળાબેન બાલકૃષ્ણ ભટ્ટ માંજલપુર નાકા પાસે આવેલી રાજેન્દ્ર સોસાયટીમાં એકલા રહે છે. ગત તા. ૧૪ મી મે ના રોજ તેઓ અમેરિકા ગયા હતા. તેમના મકાનની દેખરેખ મનિષ ઉપાધ્યાય રાખતા હતા. અને ઘરની ચાવી તેમની પાસે હતી. તે મકાનમાં સાફ સફાઇ માટે વર્ષોથી જ્યોતિબેન આવે છે. ગત તા. ૧૭ મી એ જ્યોતિબેન સફાઇ કામ કરવા ગયા ત્યારે મકાનના તાળા બરાબર હતા. ગઇકાલે બપોરે બપોરે અઢી વાગ્યે મનિષ મકાન પર આંટો મારવા ગયો ત્યારે રસોડાની બારીનો સળિયો તૂટેલો હતો. ત્યાંથી અંદર ઘુસીને ચોર ટી.વી., ફ્રિઝ, વોશિંગ મશીન, ઘરઘંટી, ગેસ બોટલ, ગિઝર,પાણીની મોટર, ચાંદીના વાસણો તથા રોકડા ૨૫ હજાર ચોરી ગયો હતો. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.