ગાજરાવાડીના યુવાને બેકારીથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું

૭૩ વર્ષના વૃદ્ધે બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ લીધો

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
ગાજરાવાડીના યુવાને બેકારીથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું 1 - image

વડોદરા,આજવા રોડ પર  રહેતા ૭૩ વર્ષના વૃદ્ધે બીમારીથી કંટાળીને તેમજ ગાજરાવાડીના યુવાને બેકારીથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું હતું. ચોવીસ કલાકમાં એક વૃદ્ધ અને બે યુવાનોએ આપઘાત કર્યા હતા.

આજવા રોડ વલ્લભ ટાઉનશિપમાં રહેતા ૭૩ વર્ષના બીશ્વનાથ રામાનુજ શો આજે  ઘરે હતા. તે સમયે અગમ્ય કારણોસર તેમણે બેડરૃમમાં પંખા સાથે ખાટલાની પાટી વડે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. અર્જુનસિંહે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, તેઓએ બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું હતું.

અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  ગાજરાવાડી દશામાં મંદિર પાસે શિવ નગરમાં રહેતા ૨૮ વર્ષના સતિષ જગદીશભાઇ ચુનારાએ ગઇકાલે ઘરે ફાંસો ખાઇ લેતા  તેનું મોત થયું હતું. જે અંગે એ.એસ.આઇ. નગરસિંહે હાથ ધરેલી તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, સતિષે બેકારીથી કંટાળીને આપઘાત કરી લીધો  હતો.

જ્યારે અન્ય એક બનાવમાં ડભોઇ રોડની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના રિક્ષા ડ્રાઇવર ભાવેશ નગીનભાઇ તડવીએ ગઇકાલે રાતે પોણા બાર વાગ્યે ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે સાડી વડે ફાંસો ખાઇ લીધો હતો. 


Google NewsGoogle News