ભાજપા કાર્યકરની હત્યા આરોપી પાર્થ પરીખના જામીન સુપ્રિમ કોર્ટે પણ નામંજૂર કર્યા
પાર્કિગ જેવી સામાન્ય બાબતે પાર્થ અને તે સાગરીતોએ હોકીના ફટકા મારી સચિનની હત્યા કરી હતી
વડોદરા : પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં વડોદરા ભાજપાના ૪૦ વર્ષના યુવા કાર્યકર સચિન ઠક્કરની હત્યાના ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રિમ કોર્ટે પણ નામંજૂર કરી દીધી છે.
હત્યાની ઘટના તા.૨૫ જુલાઇ ૨૦૨૩ના રોજ બની હતી. રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરીખ અને તેના બે સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લુહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અનો હોકીથી હૂમલો કર્યો હતો. આરોપીઓએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી ૨૩ જેટલા ફટકા મારતા સચિનનું મોત થયુ હતું. આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે ઝઘડો થયો હતો જે બાદ આ હત્યની ઘટના બની હતી.
જુલાઇ ૨૦૨૩થી પાર્થ પરીખ, સાહિલ અજમેરી અને વિકાસ લુહાણા આ કેસમાં જેલમાં છે. દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમા કરેલી અરજી નામંજૂર થતાં તેણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે.