ગાજરાવાડી પાછળ ગણેશનગરના મકાનમાં ભીષણ આગ,સ્લેબ ધરાશાયી
વડોદરાઃ ગાજરાવાડી થી ડીમાર્ટ તરફ જવાના માર્ગ પાસે એક મકાનમાં આજે રાતે આગ લાગવાના બનેલા બનાવને પગલે અફરાતફરી સર્જાઇ હતી.ફાયર બ્રિગેડની ત્રણ ટીમો દોઢ થી બે કલાક સુધી કામે લાગી હતી.
ગાજરાવાડીના પાછળના ભાગે ક્રિષ્ણા હાઇટ્સની સામે આવેલા ગણેશનગરના એક મકાનમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહતું.પરંતુ આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને આખા મકાનને લપેટી લેતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આગનું સ્વરૃપ એટલું રૌદ્ર બન્યું હતું કે તેને કારણે મકાનનો સ્લેબ પણ ધડાકા સાથે ધરાશાયી થયો હતો.જેથી મકાનમાં મોટાભાગની ઘરવખરીને નુકસાન થયું હોવાનું મનાય છે. ઉપરોક્ત સ્થળે ગેસ સિલિન્ડર હોવાની આશંકાને કારણે વધુ નુકસાન થાય તેવી દહેશત હતી.
પ્રાથમિક તબક્કે આ મકાનમાં કોઇ હાજર નહિં હોવાનું જાણવા મળ્યું છે.સ્થળ પર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે વધુ મદદની માંગણી કરતાં પાણીગેટ અને દાંડિયાબજારની ટીમો પણ ગાજરાવાડીની ફાયર ટીમ સાથે સામેલ થઇ હતી.