ભીમનાથ બ્રિજ પર આંગડિયા કર્મીના 16 લાખ લૂટનાર નકલી પોલીસનો પત્તો નથી,શકમંદોની પૂછપરછ
વડોદરાઃ વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ પર ગઇકાલે બપોરે આંગડિયા પેઢીના કર્મચારીના રૃ.૧૬ લાખ લૂંટી લેવાના બનેલા બનાવમાં લૂંટારાઓને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે પરંતુ હજી સુધી સગડ મળ્યા નથી.
અલકાપુરીની એચ એમ આંગડિયા પેઢીનો કર્મચારી રૃ.૩૬ લાખની કેશ ભરેલો થેલો સ્કૂટરની આગળના ભાગે મૂકી સયાજીગંજના ભીમનાથ બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે બે મોટર સાઇકલ પર આવેલા ચાર લૂંટારાઓએ પોલીસ તરીકે તેમની ઓળખ આપી થેલો ચેક કરવા લીધો હતો.
બે લૂંટારાઓએ યુવકને વાતોમાં પરોવ્યો હતો અને બીજા બે લૂંટારાએ કેશ ગણવાના નામે રૃ.૧૬ લાખ સેરવી લીધા હતા.જે બનાવની તપાસ સયાજીગંજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.વડોદરા પોલીસની કુલ ૧૭ ટીમો આ બનાવની તપાસ કરી રહી છે.
સયાજીગંજના પીઆઇ આર જી જાડેજાએ કહ્યું હતું કે,આ બનાવમાં પોલીસ સીસીટીવી અને મોબાઇલ સર્વેલન્સનો આધાર લઇ તપાસ કરી રહી છે.લૂંટારા જે મોટર સાઇકલ લઇ આવ્યા હતા તે મોટર સાઇકલોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.પોલીસે આજે બનાવ સંદર્ભે નિવેદનો લીધા હતા અને ૨૫ થી વધુ શકમંદોની પૂછપરછ કરી હતી.